• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

2000થી વધુના UPI વ્યવહાર પર ચાર્જ લાગશે!

સરકારે સંસદમાં નવો ખરડો રજૂ કર્યો

નવી દિલ્હી, તા. 5 : સરકારે સંસદમાં નવું પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ (સંશોધન) વિધેયક-2027 રજૂ કર્યું છે. આ બિલ અંતર્ગત 2000 રૂપિયાથી વધુના વ્યવસાયિક પેમેન્ટ પર 0.25 ટકાથી 0.4 ટકા ચાર્જ લાગુ થઈ શકે છે, જે ફક્ત વેપારીઓ પર જ લાગશે. સામાન્ય ગ્રાહકો કે રૂા. 2000થી ઓછી લેવડ-દેવડ કરનારાઓ પર કોઈ બોજ નહીં આવે. રાજિંદી ખરીદી અને ઓટો-ટેક્સી ભાડાને આમાંથી મુક્તિ મળશે.

સરકાર દ્વારા સંસદમાં નવું પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ (સંશોધન) વિધેયક-2027 રજૂ કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ પાછો ખેંચવાની વાત કરવામાં આવી છે. આ બિલ મુજબ 2000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર ચાર્જ લાગુ થઈ શકે છે.

પરંતુ તે સામાન્ય ગ્રાહકો પાસેથી લેવામાં આવશે નહીં અને તેનાથી નાગરિકો પર વધારાનો બોજ નહીં પડે. આ નિયમ તમામ સામાન્ય યુઝર્સ માટે નથી, પરંતુ તે માત્ર વ્યવસાય સાથે જોડાયેલો છે. દૂધ, શાકભાજી, કરિયાણા જેવી રાજિંદી ખરીદી તેમજ ઓટો રિક્ષા અને ટેક્સીના ભાડા પર તેની કોઈ પણ અસર નહીં પડે. સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રમથી વિપરીત આ ચાર્જ સામાન્ય ગ્રાહકોને બિલકુલ સ્પર્શશે નહીં.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રસ્તાવ મુખ્યત્વે 2000 રૂપિયાથી વધુના વેપારી લેવડ-દેવડ અને મોટા કોમર્શિયલ સંસ્થાનોને ટાર્ગેટ કરે છે. ગ્રાહકથી ગ્રાહક વચ્ચે થતા ટ્રાન્ઝેક્શનને સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે.

સામાન્ય   યુપીઆઇ સીમા એક લાખ રૂપિયા પ્રતિદિન યથાવત રહેશે અને હોસ્પિટલ તથા શિક્ષણ જેવી વિશેષ શ્રેણીઓમાં વધુ મર્યાદા મળી રહેશે. એમડીઆર એ એક એવો શૂલ્ક છે જે વ્યવસાયો ડિજિટલ લેવડ-દેવડ કરવા માટે બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ચૂકવે છે. આ શૂલ્ક માત્ર વેપારીઓ પર જ લાગુ થશે.

ઇ-પેપરના નવા શુલ્ક