અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વાન્સની ભારત યાત્રા વિશ્વને સંદેશ આપવા માટે છે કે, અમારી મૈત્રી - વ્યૂહાત્મક ભાગીદારી છે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ ઉપર ટેરિફ આક્રમણ શરૂ કર્યું ત્યારે પણ ભારત પ્રતિ કૂણી લાગણી સ્પષ્ટ હતી. હવે વાઇસ પ્રેસિડન્ટ સાથે આવેલા પ્રતિનિધિ મંડળે નવી દિલ્હીમાં ચર્ચાવિચારણા કર્યા પછી સંકેત આપ્યો છે કે દ્વિપક્ષી વ્યાપાર સમજૂતીની વાટાઘાટ આગળ વધી રહી છે અને સીધા - સાચા પાટા ઉપર છે. ચાર દિવસની ભારતયાત્રામાં જયપુરમાં એક કાર્યક્રમમાં બોલતાં વાન્સે કહ્યું હતું કે, યુએસ અને ભારતે વ્યાપાર સોદાની શરતો નક્કી કરી લીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ તેમણે કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અને નરેન્દ્ર મોદીએ જ્યારે ફેબ્રુઆરીમાં જાહેરાત કરી કે, બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર દાયકાના અંતે 500 બિલિયન ડૉલરને આંબી જશે ત્યારે આ બાબત તેમની પ્રતિબદ્ધતાનો પડઘો પાડે છે.
નવી
દિલ્હીમાં વાન્સ અને એમના પ્રતિનિધિ મંડળે દ્વિપક્ષી સહકારનાં વિવિધ ક્ષેત્રોની સમીક્ષા
કરી છે. ઊર્જા, સંરક્ષણ, વ્યૂહાત્મક ટેક્નૉલૉજી અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા
માટે સકારાત્મક ચર્ચા થઈ છે. આ ઉપરાંત, પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિતિ વિષે ચર્ચાવિચારણા
થઈ છે. અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ વાન્સે વિદેશ યાત્રા માટે ભારતને પ્રથમ પસંદગી આપી
છે તે એમનાં પત્ની શ્રીમતી ઉષા, જેઓ ભારતીય મૂળના છે, એમને આભારી છે. ભારતની ધરતી ઉપર
પગ મૂકનાર એમનાં ત્રણે બાળકો ભારતીય વેશભૂષામાં હોવાથી પરિવારનો ભારત પ્રેમ ઝળકતો હતો.
વડા પ્રધાન મોદીના ખોળામાં બેઠેલાં બાળકો જોઈને વાન્સ ભારતની આતિથ્ય ભાવનાથી પ્રભાવિત
થયા જ હશે.
આગામી
સપ્ટેમ્બરમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવશે એમ મનાય છે. અમેરિકાની
વલણ ભારત તરફી છે પણ વિદ્યાર્થીઓના વિઝા મામલામાં સૂકા સાથે ભીનું બળ્યું છે. આપણા
વિદ્યાર્થીઓ પણ નવી વિઝાનીતિનો ભોગ બન્યા છે. હવે આ ક્ષેત્રમાં રાહત મળવાની આશા સેવાય
છે ત્યારે ટ્રમ્પ નિરાશ નહીં કરે એવી ધારણા છે. ટ્રમ્પે ‘ટેરિફ આક્રમણ’ શરૂ કર્યું
ત્યારે ભારત સરકારે શાંતિ અને મૌન જાળવ્યું - સખત પ્રત્યાઘાત અને વળતો પ્રહાર નહીં
કરીને ડિપ્લોમેટિક શાણપણનો પરિચય આપ્યો તેની નોંધ અને કદર અમેરિકાએ કરી છે. ટ્રમ્પની
મુલાકાત વખતે આ કરારને આખરી ઓપ અપાશે એવું જણાય છે.
હવે
આગામી વાટાઘાટ વૉશિંગ્ટનમાં થાય ત્યારે અમેરિકા તેની કૃષિ પેદાશો અને ડેરી-ઉદ્યોગનાં
ઉત્પાદનની આયાત માટે ભારત ઉપર દબાણ કરશે તેમાં ભારતની ખરી કસોટી થશે. આપણા કિસાનો ઉપર
વિપરીત અસર થાય નહીં તેનો ખ્યાલ રાખવો પડશે. ડેરી પેદાશો ભારતના શાકાહારીઓને સ્વીકાર્ય
નહીં બને. કારણ કે પશુઓના ખાણ - ખોરાકમાં જે પ્રોટીન વપરાય છે તે ‘શાકાહારી’ નથી. આ
બાબતો વિવાદાસ્પદ બની શકે છે છતાં અમેરિકા અને ભારત એકમેકના મૈત્રી સંબંધને વધુ મહત્ત્વ
આપશે. બંને દેશો વચ્ચે સમજૂતીની વાતને વાન્સે આપેલી પુષ્ટિને કારણે નિકાસકારો તથા પોતાના
ધંધા માટે અમેરિકાની બજાર પર આધાર રાખતા લોકો માટે રાહત સમાન છે.
આ દરમિયાન
- ભારત-અમેરિકાના મૈત્રીભર્યા વ્યાપાર સંબંધ ચીનને ખૂંચી રહ્યા છે તેથી વાઇસ પ્રેસિડન્ટ
વાન્સની ભારતયાત્રાની પૂર્વ સંધ્યાએ ચીને ચેતવણીના સ્વરમાં કહ્યું છે કે, જે દેશ અમેરિકાની
તરફેણ મેળવીને રાહત મેળવશે તેની સામે ચીન વળતાં પગલાં ભરશે! ઘણા દેશો અમેરિકા સામેના
ચીનના યુદ્ધમાં જોડાયા નથી અને જોડાવા તૈયાર નથી. પરિણામે વિશ્વ વ્યાપાર-યુદ્ધનો ગંભીર
તબક્કો શરૂ થવાની શક્યતા છે. ભારતે સાવધાન રહેવું પડશે.