• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

મોહન ભાગવતનો સંવાદી સૂર

આજની પેઢીને કોઈ સમજતું નથી. તેમની વાતને કોઈ સ્વીકારતું નથી તેવા મહેણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મુંબઈમાં ભાંગી નાંખ્યા છે. ‘જેન-ઝી’ તરીકે ઓળખાતા યુવાનો સાથે તેમણે સંવાદ તો કર્યો, સાથે જ આ યુવાનોના વખાણ કર્યાં. તેમની સાથે સંવાદ થવો જોઈએ તેવો સજ્જડ અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમની સાથે ચર્ચા ન થઈ તેથી જ આંદોલન થયું. એક તરફ ‘જેન ઝી’ ની આકરી ટીકા થઈ રહી છે ત્યારે સંઘના વડાના આ શબ્દો ફક્ત યુવાનો માટે જ નહીં, દેશની સમગ્ર પરિસ્થિતિ માટે, રાજકીય વાતાવરણ માટે ઘણા અગત્યના છે. રાષ્ટ્રવાદની સાથે પરંપરાગત, રુઢિવાદી વિચારમાં માનતો સંઘ પણ યુવાનોની અવગણના કરતો નથી તેવું આ નિવેદનો ઉપરથી માની શકાય.

દિલ્હીના જંતર-મંતર વિસ્તારમાં 28 દિવસ ચાલેલા અને હજી જેની ચર્ચા તો ચાલે જ છે તેવા ‘જેન-ઝી’ આંદોલનના પ્રત્યાઘાત દેશમાં ઘણા પડયા. ‘એનડીએ’ સરકારના કોઈ મંત્રીએ કોઈ વિરોધને વશ થઈને રાજીનામું આપ્યું હોય તેવી ઘટના આશ્ચર્યજનક છે પરંતુ તે ઘટના બની. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પદ ત્યાગવું પડયું. યુવાનોએ આંદોલન કર્યું તેમાંના કેટલાકે વડાપ્રધાન વિશે અભદ્ર શબ્દોના ઉચ્ચારણ પણ કર્યાં. સરકાર કે ભાજપ કોઈ પ્રતિભાવ આપે તે પૂર્વે તો સોશિયલ મીડિયા ઉપર અનેક લોકોએ આ યુવાન વિદ્યાર્થીઓને ઝાટકી નાંખ્યા. વિવિધ માધ્યમો ઉપર આ આંદોલનની વિરુદ્ધમાં લેખશ્રેણી થઈ, વીડિયો વાયરલ થયા કે ‘આવું તે હોય? આ રાષ્ટ્રવિરોધી યુવાનો છે, દિશાભાન ભૂલ્યા છે’ ઈત્યાદિ વાત થઈ. જો કે યુવાનોના ‘મનની વાત’ સમજી ગયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વલણ તદ્દન જુદું અપનાવ્યું હતું. તેમણે સતત ત્રણ દિવસ યુવાનો સાથે સંવાદ કર્યો. તેમના વિશે અયોગ્ય શબ્દો બોલનાર કિશોરીને ક્ષમા કરી. યુવાનોને સમર્થન આપવા ગયેલા લોકોની પણ ટીકા થઈ. જો કે સંઘના વડીલ મોહન ભાગવતે પણ યુવાનો સાથે મુંબઈમાં ગુરુવારે સંવાદ કર્યો. તેમને જાણ્યા.

આંદોલનમાં હિસ્સો ન લીધો હોય તેવા યુવાનોને પણ ગમે, જેન-ઝીના આંદોલનની ટીકા કરનારાના મોઢે તાળાં લાગી જાય તેવી વાત તેમણે કરી. મોહનજીએ કહ્યું કે યુવાનો સાથે સંવાદ નથી થતો એટલે જ આવાં આદોલનો થાય છે. જેન ઝી રાષ્ટ્રવિરોધી નથી. તે આગલી પેઢી કરતાં વધારે પ્રમાણિક છે. આંદોલન તેનો અધિકાર છે. મોહન ભાગવતે આ વાત યુવાનોને કરી પરંતુ આખરે તો તેમણે જવાબ આપ્યો યુવાનોના પેલા ટીકા કરનારાઓને. અલબત્ત, વાંકદેખાઓ તો તેમના આ નિવેદનમાં પણ સ્ટેટેજી કે સમયસૂચકતા જોવે છે, પરંતુ બધું જ વક્રદૃષ્ટિએ જોવું યોગ્ય નથી. શક્ય છે કે મોહન ભાગવતના આ નિવેદન પછી કેટલાક નારાજ યુવાનોના મન બદલાય પણ ખરા. આ બધાં કરતાં પણ અગત્યનું એ છે કે તેમણે જે કહ્યું તેના ઉપર ધ્યાન આપવામાં આવે. ફક્ત આ નીટ પેપર લીક આંદોલન જ નહીં જ્યાં જ્યાં યુવાનો કોઈ નારાજગી કે વિરોધ વ્યક્ત કરે, યુવાનો જ શું કામ ? નાગરિકો નારાજ થાય અને કંઈ કહે તો કોઈ પણ રાજ્યમાં કોઈ પણ પક્ષની સરકાર હોય તે નાગરિકની નારાજગી કાને ધરવી જોઈએ. વિદ્યાર્થીઓ નારાજ એટલા માટે થયા કે પરીક્ષાના પેપર ફૂટયાં. પરીક્ષા પદ્ધતિથી તેઓ નારાજ છે. સંવાદ થવો જોઈએ તેવું સંઘ વડાએ કહ્યું, જો સંબંધિત એજન્સીઝ ક્ષતિઓમાં જ ઘટાડો કરે, પ્રામાણિકતાથી આખી પ્રક્રિયા ચાલે તો સંવાદની પણ આવશ્યકતા નહીં રહે.

જો કે તે તો જ્યારે થાય ત્યારે, આજનું લેસન તો ભાગવતજીએ એ જ આપ્યું છે કે જેન ઝી નથી તો દેશવિરોધી કે નથી તે ઊછાંછળી, એટલે તેમની સાથે હસો, હળો, મળો.

 

ઇ-પેપરના નવા શુલ્ક