• શુક્રવાર, 28 માર્ચ, 2025

કાલે ચાંદીની પિચકારીમાં કેસુડાના રંગથી રમશે ઠાકોરજી

જગતમંદિરમાં કાલે દોલોત્સવની ભવ્ય ઊજવણી થશે 

 

દ્વારકા, તા.12: દ્વારકાધીશ જગતમંદિરમાં સામાન્ય રીતે ફાગણ વદ એકમના રોજ જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવ મનાવાય છે. પરંતુ આ વખતે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પૂર્ણિમાનો દિવસ હોય તા.14મીએ પૂર્ણિમાના રોજ દ્વારકા તેમજ બેટ દ્વારકામનાં આવેલા દ્વારકાધીશ જગતમંદિરોમાં ધાર્મિક પરંપરા અનુસાર ભાવિકો સંગ દોલોત્સવની ઉજવણી કરવામાં આવશે.

જગતમંદિરના પૂજારી પ્રણવભાઇ ઠાકરના જણાવ્યા અનુસાર શુક્રવાર તા.14મીના રોજ બપોરે 1.15 કલાકે ઠાકોરજીને ભીતરમાં (બંધ પડદે) ધાણી, દાળીયા, ખજૂર, સૂકોમેવો, પતાસા વગેરેનો મહાભોગ ધરાવ્યા બાદ નીજ સભાગૃહમાં બાલસ્વરૂપને ઝુલામાં સ્થાપન કરાવી દોલોત્સવ સ્વરૂપના દર્શન કરાવાશે. હોજમાં ફૂલોના ઝુલામાં બિરાજમાન બાળ સ્વરૂપને સિદ્ધ કરી શંખનાદ, ઢોલ નગારાના ગગનભેદી નાદ સાથે ઠાકોરજીની મહાઆરતીનો પ્રારંભ થશે. આરતી પ્રારંભે કેસુડાં કેસર જલ ચાંદીની પિચકારીમાં ભરી ઠાકોરજી સંગ ધૂળેટી રમાશે. બાદ દ્વારકાધીશજીના શ્રીઅંગ પર પધરાવવામાં આવેલા અબીલ-ગુલાલની છોળો(રંગ) ભાવિક ભકતોને પ્રસાદીરૂપે ઉડાડવામાં આવશે. બપોરે 1:30 કલાકે ઠાકોરજીના રાજાધિરાજ સ્વરૂપના પૂર્ણ શૃંગાર સાથે શ્રી અંગ પર શંખ, ચક્ર, ગદા, પદ્મ તથા અલંકારો તેમજ સફદ વસ્ત્રો સાથેના ઠાકોરજીના દૈદિપ્યમાન સ્વરૂપના દર્શન ખૂલ્લાં મૂકાશે. દ્વારકાધીશ જગતમંદિરમાં બપોરે 1:30 થી ર:30 કલાક સુધી ભાવિકો વચ્ચે ઠાકોરજી સન્મુખ અબીલ ગુલાલ વડે પરંપરાગત રીતે દોલોત્સવ ઊજવાશે. આ ઉપરાંત દેશ વિદેશમાં લાખો શ્રધ્ધાળુઓ ઓનલાઈનના માધ્યમથી જગતમંદિરમાં થનારા દોલોત્સવને નિહાળશે.

 

ગુલાલની છોળો સાથે જગતમંદિરમાં ભાવિકોમાં ફૂલડોલનો ઉત્સાહ ચરમસીમાએ

દ્વારકા યાત્રાધામમાં ફૂલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંગ ફુલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહયો છે. ત્યારે દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપનથી આજપર્યંત ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શ્રુંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતીમાં ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં અબીલ ગુલાલની છોળ સાથે ફુલડોલ ઉત્સવને વધાવામાં આવી રહયો છે. પૂજારી પરિવાર દ્વારા ફુલડોલ ઉત્સવમાં વિશેષ પ્રકારના મનોરથો પણ ઠાકોરજીની સન્મુખ ધરાવવામાં આવે છે.

 

બેટ દ્વારકાધીશ મંદિરે 464 વર્ષથી ઊજવાય છે દોલોત્સવ 

હિન્દુ ધર્મમાં ફાગણ માસના પવિત્ર તહેવાર ગણાતાં હોળી તથા ફુલદોલ ઉત્સવની બેટ દ્વારકાધીશ જગતમંદિરમાં વર્ષની જેમ પારંપરિક ધાર્મિક રીત-રસમ સાથે ભવ્ય ઊજવણી કરવામાં આવનાર છે. હોળી મહોત્સવ બાદ તા.14 માર્ચને સોમવારે બેટ દ્વારકાધીશ જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવ ઊજવાશે. બેટ દ્વારકાધીશ મંદિરમાં આ ઉત્સવને દોલોત્સવ કહેવામાં આવે છે. સોમવારે સવારે 11:30 થી બપોરે 12:00 વાગ્યા સુધી ઠાકોરજીના દોલોત્સવ ઉત્સવ દર્શન યોજાનાર છે. જેમાં દ્વારકાધીશના ચલ સ્વરૂપ શ્રી ગોપાલજીને મધ્યાહનભોગ અર્પણ કરાયા બાદ દોલોત્સવ માટે ઝુલામાં પધરાવી ચાંદીની પિચકારીમાં કેસુડો ભરી ઠાકોરજી સંગ ઉપસ્થિત દર્શનાર્થીઓનો સંગ મંદિરના મુખ્યાજીઓ દ્વારા અબીલ ગુલાલ સાથે દોલોત્સવ રમી પારંપરિક રીતે ઉજવણી કરાય છે. મંદિરના ઈન્ચાર્જ વ્યવસ્થાપક દિનેશભાઈ બદીયાણીની યાદીમાં જણાવ્યાનુસાર તા.15મીએ શનિવારે દ્વિતીયા પાટોત્સવની પણ ઉજવણી કરાશે. જેમાં ઠાકોરજીની મંગલા આરતી સવારે 7:30 કલાકે, મોર આરતી સવારે 8 કલાકે, શૃંગાર આરતી સવારે 11:30 કલાકે, મધ્યાહન આરતી બપોરે 12 કલાકે તેમજ ઠાકોરજીને મીઠા જળ બપોરે 1 કલાકે યોજાશે એટલે કે તમામ મંદિરો બંધ થઈ જશે. સાંજે 4:30 કલાકે શ્રીજીના ઉત્થાપન દર્શન થશે તેમજ રાત્રે 8 કલાકે શ્રીજીના શયન દર્શન થશે. હાલમાં જે જગ્યાએ ભગવાન દ્વારકાધીશ બિરાજે છે તે સ્થળે વિક્રમ સંવત 1617માં જામનગરના રાજા જામરાવળજીએ મંદિરો સિદ્ધ કરાવ્યા હતા અને પ્રભુ બિરાજમાન થયા હતા. ત્યારથી આજદિન સુધી દર વર્ષે એટલે કે છેલ્લાં 464 વર્ષથી અહીં ભાવિકોની ઉપસ્થિતિમાં ઠાકોરજી સંગ દોલોત્સવની ઊજવણી કરવામાં આવે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક