• બુધવાર, 21 મે, 2025

ગુજરાત સરકારે બનાવેલી યુસીસીને હાઈકોર્ટમાં પડકારાઇ

કમિટીની રચનામાં લઘુમતી સમાજના લોકોને સામેલ ન કરવામાં આવ્યા હોવાની રજૂઆત, નવી કમિટી રચવા માગ

અમદાવાદ, તા. 22: ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) માટે એક કમિટીની રચના કરી હતી. આ કમિટીની રચનાને આજે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. અરજદારે આરોપ લગાવ્યો છે કે, ગુજરાત સરકારે બનાવેલી કમિટી સામાજિક ન્યાયના દૃષ્ટિકોણથી એક તરફી છે. આ ઉપરાંત અરજદારે આ કમિટીની રચનામાં લઘુમતી સમાજના લોકોને ન સામેલ કરવામાં આવ્યા હોવાની રજૂઆત કરી છે. હવે અરજદારે નવેસરથી કમિટીની રચના કરવાની દાદ પણ માંગી છે. નવી કમિટીમાં તમામ સમુદાયના નિષ્ણાતોને સ્થાન આપવાની માગણી અરજદારે કરી છે. આ અરજી પર આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે. 

ઉલ્લેખનીય છે કે ગત 12 એપ્રિલના રોજ યુસીસી સમિતિના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈના વડપણમાં સમાન નાગરિક સંહિતા સમિતિ દ્વારા નવી દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં જાહેર પરામર્શનું આયોજન કરવામાં આવ્યું હતું. બે રાઉન્ડમાં આયોજિત આ વિચારવિમર્શના પ્રથમ રાઉન્ડમાં મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ સંવાદમાં સમિતિના 18 સભ્યોએ વિવિધ મુદ્દાઓ પર તેમનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. જેમાં આ વિષય પર રાજ્યના અધિકારક્ષેત્ર તેમજ બંધારણ અને બંધારણની કલમ 44, જે રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોનો ભાગ છે, તે સામેલ છે. સમિતિના સભ્યોએ 15 એપ્રિલ 2025 પહેલા વિગતવાર લેખિત રજૂઆત આપવાનું પણ આશ્વાસન આપ્યું હતું. જાહેર પરામર્શના બીજા રાઉન્ડમાં, સમિતિએ દિલ્હી ગુજરાતી સમાજની રજૂઆતો સાંભળી હતી. (જુઓ પાનું 10)

આ સમિતિના 14 સભ્યો આ ચર્ચામાં સામેલ થયા હતાં. સમિતિના સભ્યોએ ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાને લાગુ કરવાની બાબતને સમર્થન આપ્યું હતું.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક