(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.9: સોશિયલ મીડિયામાં
દેશ વિરોધી પોસ્ટ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ
સંઘવીએ જણાવ્યું કે ‘ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગુરૂવારે સોશિયલ મીડિયા દેશ વિરોધી
પોસ્ટ કરનારા ચાર સામે ફરિયાદ કરાઇ છે. પોલીસના ધ્યાનમાં આવી કોઇ પોસ્ટ આવશે તો કાર્યવાહી
કરવાની પણ સૂચના અપાઇ છે. સોશિયલ મીડિયા પર ભડકાઉ કે દેશ વિરોધી પોસ્ટ પર પોલીસની નજર
છે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સોશિયલ
મીડિયા પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને સેનાનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર
ચાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ પ્રકારની કોઇ પણ હરકત ચલાવી લેવામાં આવશે
નહીં ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન
રાખવાની સાથે કોઇ પણ આવી પોસ્ટ ધ્યાનમાં આવે તો કડકમાં પગલા ભરવાની સૂચના આપવામાં આવી
છે.
મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના
જામનગરમાં રહેતા મનીષ ડાંગરિયા જલાણા નામના શખસે રાષ્ટ્ર વિરોધી લાગણી મામલે વિવાદિત
પોસ્ટ કરી હતી. આ શખસ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસે મોટી રાષ્ટ્ર
વિરોધી પોસ્ટ કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. મળતા અહેવાલ પ્રમાણે રાષ્ટ્ર વિરોધી
લાગણીઓ ફેલાવવા અને સેનાનું મનોબળ નીચુ કરવા બદલ 4 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. બધાને
કડક ચેતવણી આપવામાં આવી છે.
ભારતનું સાર્વભૌમત્વ ખંડિત થાય
તેવી પોસ્ટ કરનાર ડોક્ટર સામે ગુનો નોંધાયો
જૂનાગઢ, તા.9: વિસાવદરના મોણિયા
ગામના એનિમલ ડોક્ટર દ્વારા ફેસબુક એકાઉન્ટમાં ભારતનું સાર્વભૌમત્વ ખંડિત થાય તેવી પોસ્ટ
વાયરલ કરતા તેની સામે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. વિસાવદર
પોલીસે મોણિયા ગામમાં ગઢવાળી શેરીમાં રહેતા એનિમલ ડોક્ટર વલ્લભભાઈ રામજીભાઈ કુંજડિયા
(ઉ.62) સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં જણાવાયું છે કે, વલ્લભ કુંજડિયા દ્વારા તેના
ફેસબુક એકાઉન્ટમાં એક પોસ્ટ વાયરલ કરી હતી, આતંકવાદીઓ દ્વારા થયેલા હુમલાની સ્થિતિને
ધ્યાને લઈ લોકોમાં ભય ફેલાય અને હાલ યુદ્ધ જેવી સ્થિતિમાં ભારતનું સાર્વભૌમત્વ ખંડિત
થાય તેવા ઈરાદા સાથે લખેલું કે, આતંકવાદી હુમલાઓ બંધ કરાવવા, અંધ ભક્તો વગાડો થાળી
અને પાડો તાળી, એક રહોંગે તો નેક રહોંગે, બટોગે તો કટોગેના સ્લોગન લખીને પાકિસ્તાનને
ભડકાવે તેવી પોસ્ટ પોલીસના ધ્યાને આવતા પોલીસે કાર્યવાહી કરી છે.