• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થશે

ત્યાર પછી ફરી એક વખત બે-ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટે એવું અનુમાન

 

રાજકોટ, તા. 28: રાજ્યમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે આગામી ત્રણ દિવસમાં તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી વધવાની શક્યતા છે. જોકે, ત્રણ દિવસ પછી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે.

વાતાવરણની સ્થિતિ રોલરકોસ્ટર જેવી થઈ ગઈ છે. ઠંડીના પ્રમાણમાં કેટલાક દિવસોમાં તિવ્ર વધઘટ થઈ રહી છે. ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તો બીજી બાજુ ઉત્તર ભારતના પર્વતોમાં હિમવર્ષા થઈ રહી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ આપવામાં આવી છે.

ત્યારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈ અભિમન્યુ ચૌહાણે આજે બુધવારે આપેલી માહિતી પ્રમાણે, આજથી એટલે 28મી જાન્યુઆરીથી ત્રીજી ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે. એટલે કે રાજ્યમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે આગામી ત્રણ દિવસમાં તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી વધવાની શક્યતા છે. જોકે, ત્રણ દિવસ પછી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે.

આ સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 30મી તારીખની આસપાસ સર્જાઈ શકે છે. ઉત્તર ભારતમાં આની અસર થઈ શકે છે. ઉત્તર ભારતને કારણે ગુજરાતમાં પણ આની અસર થશે જેના કારણે ત્રણ દિવસ પછી તાપમાનમાં ફરીથી ઘટાડો નોંધાશે. છેલ્લા 24 કલાકમાં સૌથી નીચું તાપમાન નલિયામાં સાત ડિગ્રી નોંધાયું હતું. આ સાથે વડોદરામાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જ્યારે વામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. જેના કારણે દેશના ઉત્તરના ભાગોમાં ફરીથી હિમવર્ષા થવાની શક્યતા છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મધ્યપ્રદેશ, રાજસ્થાનના ભાગો સુધી રહેવાની શક્યતા છે. આની અસર કચ્છમાં પણ થશે.

ઇ-પેપરના નવા શુલ્ક