અમરેલી તા. 9: અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં કોઈ ચોરી કરતી ટોળકી ઉતરી હોય તેમ છેલ્લા એક જ દિવસમાં ઘરફોડ ચોરી, દાનપેટી તથા બાઈક ચોરીના બનાવ અંગે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
પ્રથમ બનાવમાં ખાંભા તાલુકાના
પીપળવા ગામે રહેતા અને શાકભાજીનો વેપાર કરતાં પ્રવિણભાઇ આલુભાઇ બાંભણીયા નામના 37 વર્ષિય
વેપારી ગત તા.6 ના રોજ વહેલી સવારના આશરે સાડા છએક વાગ્યાની આસપાસ તેમના પત્ની સાથે
તેમના કાકાના દિકરા સંજયભાઇની જાનમાં મેથળા ગામે ગયા હતા અને આખો દિવસ તેઓ જાનમાં રોકાયા
હતા અને સાંજના આશરે સાતેક વાગ્યાની આસપાસ પીપળવા ગામે પરત આવ્યા હતા. તે વખતે વેપારીના
મકાનની દિવાલમાં આવેલી જાળીયું તોડી કોઈ અજાણ્યા ચોર ઇસમે ઘરમાં રહેલ શાકભાજીનાં ધંધાના
ગલ્લામાં રાખેલ રોકડા રૂપિયા 30,000 ચોરી કરી લઇ નાસી ગયો હતો. બીજા બનાવમાં ખાંભા
તાલુકાના પીપળવા ગામે આવેલ સ્વામી નારાયણ મંદીરની અંદર રહેલ દાન પેટી ગત 1 ના સાંજના
આશરે આઠેક વાગ્યાથી તા.2 ના વહેલી સવારના આશરે સાડા છ વાગ્યા દરમ્યાન કોઈ અજાણ્યા ચોર
ઇસમ મંદિરના પાછળના ભાગે રહેલી બારીમાંથી મંદિરની અંદર પ્રવેશ કરી દાનની રકમ આશરે છ
થી સાત હજાર રૂપીયા હતા તે ચોરી કરી લઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ત્રીજા બનાવમાં
ખાંભા ગામે રહેતા ધરમશીભાઇ નરશીભાઇ કળસરીયા નામના 54 વર્ષિય ખેડૂતે ગત તા.8 ના રોજ
રાત્રે 8/30 વાગ્યે પોતાના ઘર સામે બહાર રોડ
ઉપર રાખેલ હોય અને પોતાના ઘરના સભ્યો રાત્રીના સાડા અગીયાર વાગ્યે ઘરમા સુવા માટે રૂમમાં
જતા રહેલ હતા અને રાત્રીના બે વાગ્યે જાગતા મોટર સાયકલ ઘર બહાર જોવામાં ન આવતા કોઇ
અજાણ્યો ચોર ઇસમ મોટર સાયકલ ચોરી કરી લઇ ગયાની
પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.