• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

સુરતમાં ધો. 12ના વિદ્યાર્થીનો ગળું અને નસ કાપી આપઘાતનો પ્રયાસ

સુરત, તા.19 : સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતો ધો.12 કોમર્સનો સગીર વિદ્યાર્થી પોતાના ઘર નજીક આવેલા ગાર્ડનમાં ગયો હતો અને ત્યાં આવેલા શૌચાલયમાં કોઈ તીક્ષ્ણ હથિયાર વડે પોતાના જ હાથની નસ તથા ગળું કાપી નાખ્યું હતું. ગંભીર ઈજાઓને પગલે શૌચાલય લોહીલુહાણ થઈ ગયું હતું અને વિદ્યાર્થી ત્યાં જ ઢળી પડયો હતો. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં સારવાર કર્યા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે પરંતુ ગળા પર ટાંકા હોવાને કારણે તે બોલી શકવાની સ્થિતિમાં નથી. વિદ્યાર્થીની તબિયતમાં સુધારો થયા બાદ તેનું પોલીસ દ્વારા વિગતવાર નિવેદન લેવામાં આવશે. ત્યારબાદ જ આપઘાતના પ્રયાસ પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે. પોલીસે હાલ પરિવારજનોના નિવેદન નોંધ્યા છે. જેમાં પરિવાર તરફથી અભ્યાસ કે અન્ય કોઈ બાબતનું કોઈ દબાણ ન હોવાનું સામે આવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક