વંદે માતરમ, શિવ સ્તોત્ર, દેશભક્તિ ગીતો અને નૃત્ય સાથે ભારતીય સંસ્કૃતિના પરિચયથી ખેલાડીઓ-દર્શકો ભાવવિભોર
સમાપન
સમારંભમાં માનુષી છિલ્લર, શંકર મહાદેવન અને ભૂમિ ત્રિવેદી છવાયા
ગ્લાસગો,
તા.3: ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના સમાપન સાથે ભારતે દુનિયાને 2030ના કોમનવેલ્થ ગેમ્સ
માટે અમદાવાદ પધારવાનું ભાવભીનું આમંત્રણ આપ્યું હતું. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના સમાપન
સમારંભમાં ભારતના પ્રાચીન દર્શન, આધુનિક કલા અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો
હતો. આ સાથે અમદાવાદના આંગણે રમાનાર શતાબ્દી સંસ્કરણના કોમનવેલ્થ ગેમ્સની યાત્રાનો
પ્રારંભ થયો હતો. સમાપન સમારંભમાં ગ્લાસગો દ્વારા કોમનવેલ્થ ગેમ્સની બેટન ભારતને સોંપવામાં
આવી હતી. જે સ્ટાર ખેલાડી નિરજ ચોપરા, ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પીટી ઉષા અને
ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વીકારી હતી. બ્રિટનના કિંગ ચાર્લ્સ ત્રીજાએ ગ્લાસગો
કોમનવેલ્થ ગેમ્સની સમાપ્તિની સત્તાવાર જાહેરાત કરી હતી અને જણાવ્યું કે 24મા કોમનવેલ્થ
ગેમ્સ માટે તમામ દેશના ખેલાડીઓને અમદાવાદ આવવાનું આમંત્રણ છે.
સમાપન
સમારંભમાં મુક્કેબાજ જેસ્મિન લંબોરિયા ભારતની ધ્વજવાહક રહી હતી. તેણીએ પ7 કિલો વર્ગની
સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સમાપન સમારંભમાં ભારતે વસુધૈવ કુટુંમ્બકમની થીમ
સાથે કાર્યક્રમ રજૂ કર્યો હતો. અભિનેત્રી માનુષી છિલ્લરની આગેવાનીમાં નૃત્ય પ્રસ્તૃતિ
થઇ હતી. તેની સાથે સેંકડો નર્તકો જોડાયા હતા. તેમણે ભારતની વિવિધતામાં એકતા પ્રદર્શિત
કરી હતી. ગાયક શંકર મહાદેવન અને અન્યોએ વંદે માતરમ અને શિવ સ્તોત્ર ઉપરાંત લહેરા દો
અને એ વતન મેરે વતન જેવા દેશભક્તિ ગીતો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યાં હતા. ગુજરાતી
પાર્શ્વગાયિકા ભૂમિ ત્રિવેદીએ યજમાન પ્રદેશ ગુજરાતની વિશેષ પ્રસ્તૃતિ રજૂ કરી હતી.
પરદા પર અમદાવાદનો પરિચય આપવામાં આવ્યો હતો.