• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

મોરબી પંથકમાં અપમૃત્યુના 6 બનાવ

મોરબી, તા.3: મોરબી જિલ્લાના ત્રણ તાલુકામાં અપમૃત્યુના છ બનાવમાં છ વ્યક્તિના મૃત્યુ થયા છે. આ બનાવો કોઈનું બીમારી સબબ તો કોઈએ આપઘાત કરી લેતા મૃત્યુ થયું છે.

મોરબીની કબીર ટેકરીમાં રહેતા જયેશભાઈ રસિકલાલ જાદવ (ઉં.55) નામના પૌઢ ગત તા.2ના સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં લેબોરેટરી પાસે હતા ત્યારે અગમ્ય કારણોસર તેમનું મૃત્યુ થયું હતું. બીજા બનાવમાં સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા નવુભા દાનુભા રાઠોડ (ઉં.64) નામના વૃદ્ધની તબિયત બગડતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યા હતા. ત્રીજા બનાવમાં રવાપર નદી ગામની સીમમાં એક કારખાનામાં રહીને કામ કરતા સિકોતરભાઈ લક્ષ્મીરામ (ઉં.46)એ ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ થયું હતું જ્યારે બેલા ગામની સીમમાં કારખાનામાં રહેતા નારૂ રમાય હેમ્બ્રમ (ઉં.24) નામના યુવાનનું નદીમાં ડૂબી જતા મૃત્યુ થયું હતું. પાંચમાં બનાવમાં મૂળ રાજસ્થાનના વતની હાલ ટંકારાના વીરપર ગામ દ્વારકાધીશ હોટેલના રૂમમાં રહેતા દોલારામ નાથુલાલ ગમેતી (ઉં.21) નામના યુવાને ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ થયું હતું જ્યારે માળિયા તાલુકાના જૂના ઘાટીલા ગામના ગેલાભાઈ નોંધાભાઈ હાડગરા (ઉં.47) નામના આધેડ સીમમાં ઢોર ચરાવવા ગયા હતા. ત્યારે વોકળાના પાણીમાં તણાઈ જતા ડૂબી જતા મૃત્યુ થયું હતું. મોરબી, ટંકારા અને માળિયા પોલીસે બનાવો મામલે વધુ તપાસ ચલાવી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક