ક્લોઝિંગનાં નવા નિયમથી નિફ્ટી, સેન્સેક્સમાં વિસંગતી: છેલ્લી ક્ષણોમાં નિફ્ટીમાં 200 પોઈન્ટની મારફાડ તેજીનું કારણ શું?
મુંબઈ,તા.3:
ભારતીય શેરબજારમાં આજે એક અનોખી અને અસાધારણ સ્થિતિમાં અચંબિત કરનારી તેજી જોવા મળી
હતી. જેનાં હિસાબે એનએસઈનાં નિફ્ટી અને બીએસઈનાં સેન્સેક્સ, બન્ને પ્રમુખ શેરઆંકોમાં
પણ વિસંગતતા પેદા થઈ ગઈ હતી. આજે બજાર બંધ થવાની છેલ્લી ક્ષણોમાં નિફ્ટીએ ભયાનક તેજી
સાથે આશરે 200 અંકનો ઉછાળો માર્યો હતો અને તેનાં હિસાબે ટ્રેડર્સમાં સનસનાટી ફેલાઈ
ગઈ હતી. બપોરે 3.15 વાગ્યે નિફ્ટી 24573નાં સ્તરે હતો પણ કારોબારી સત્ર સમાપ્ત થતાં-થતાં
ઈન્ડેક્સ 24774ની સપાટીએ પહોંચી ગયો હતો. એટલે કે આ 200 પોઈન્ટનાં ઉછાળાએ બધાને સ્તબ્ધ
કરી દીધા હતાં. એક બાજુ નિફ્ટી આજે 1.60 ટકા એટલે કે 390 પોઈન્ટનાં ઉછાળે બંધ આવ્યો
હતો અને તેની સમાંતરે જ સામાન્ય રીતે વધઘટનું પ્રમાણ દેખાડતો સેન્સેક્સ 0.70 ટકાની
તેજી એટલે કે 544 અંકનાં વધારા સાથે 78639નાં સ્તરે બંધ આવ્યો હતો.
આ
અચાનક આવેલા ઉછાળાનું કારણ સેબી દ્વારા ક્લોઝિંગ સેશનનાં નિયમમાં કરવામાં આવેલો ફેરફાર
છે. જે આજે જ લાગુ થયા છે. આ નવા નિયમ હેઠળ એફ એન્ડ ઓ સાથે જોડાયેલા શેરોમાં સામાન્ય
ટ્રેડિંગ બપોરે 3.15 વાગ્યે બંધ થાય છે. ત્યારબાદ 3.15થી 3.35 સુધી 20 મિનિટ ક્લોઝિંગ
ઓક્શન સેશન (સીએએસ) આયોજિત કરવામાં આવ્યું છે. જો કે આ નવા નિયમનાં કારણે આજે બજારમાં
મોટી અફરાતફરી અને અચરજ ફેલાયું હતું. લોકોને હજી પણ આ છેલ્લી ઘડીએ ગણતરીમાં એવું શું
થયું કે બજારમાં આવો અસાધારણ ઉછાળો આવ્યો તેનું ભારે આશ્ચર્ય છે. જો કે સેબી તરફથી હજી સુધી આ વિશે કોઈ
અધિકૃત સ્પષ્ટતા આપવામાં આવી નથી.