• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

અગ્નિકાંડના મૃતક યુવાનના પરિવારજનોએ ગ્રાહક કોર્ટમાં રૂપિયા 20 લાખનો કર્યો દાવો

કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનરને પક્ષકાર તરીકે જોડયા : વકીલ કોઈપણ ફી લીધા વગર કેસ લડશે

રાજકોટ, તા. 8 (ફૂલછાબ ન્યૂઝ) : રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ખાતે લાગેલી આગમાં ર7 લોકો મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટનામાં દર્શન એન્જિનિયારિંગ કોલેજના વિદ્યાર્થી અને વેપારી રસિકભાઈ વેકરિયાના પુત્ર નિરવનાં મૃત્યુ બદલ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી, તેના ભાગીદારો, મિલકતના માલિકો પાસેથી 20 લાખના વળતરનો દાવો ગ્રાહક કોર્ટમાં કરવામાં આવ્યો છે. 

મૃતક યુવાન નિરવના પિતા રસિકભાઈ દ્વારા કન્ઝ્યુમર કાયદાના નિષ્ણાત એડવોકેટ ગજેન્દ્ર જાની મારફત રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ ફરિયાદ  દાખલ કરવામા આવી છે.  આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટિસ ફટકારવામાં આવી છે. આ કામના કરિયાદીએ પોતાના પુત્ર નિરવ કે જે દર્શન એન્જિનિયારિંગ કોલેજ ખાતે એન્જિનિયારિંગનાં બીજાં વર્ષમાં અભ્યાસ કરતો હતો તેની ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધ્યાને લઈ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો, મિલકતના માલિકો પાસેથી 20 લાખના વળતરની માગણી કરી છે. 

ફરિયાદીએ કરેલ ફરિયાદના વર્ણનમાં નોંધવામાં આવ્યું છે કે, રેસ-વે એન્ટરપ્રાઇઝ એક ભાગીદારી પેઢી છે. આ પેઢી દ્વારા ટીઆરપી ગેમઝોનનાં નામથી ગેમ્સ, એમ્યુઝમેન્ટ, સ્પોર્ટસ અને રેસિંગ જેવી અનેકવિધ એક્ટિવિટી થઈ શકે તેવી પોતાની પ્રોડક્ટ વિવિધ પ્રકારે જાહેરાતનાં માધ્યમથી ઓફર કરેલ હતી. આવી ઓફરના પ્રલોભનથી મૃતક નિરવભાઈ કે જે પેઢીના ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે તેઓ તથા અન્ય ગ્રાહકો આકર્ષાયા હતા અને પેઢીએ નિયત કરેલ રકમ ચૂકવી પેઢીની પ્રોડક્ટ એટલેકે ટીઆરપી ગેમઝોનની ટ્રેમ્પોલીન, આર્ટિફિશિયલ વોલ ક્લાઇમ્બિંગ, રેસિંગ, બોલિંગ, જમ્પિંગ વગેરે રમતગમત, એમ્યુઝમેન્ટ માણવા પ્રવેશ લેવામાં આવેલ હતો. 

પેઢી દ્વારા પોતાના ગ્રાહકો માટે સુરક્ષા વિષયક બાબતો અન્વયે બેદરકારી દાખવવામાં આવેલ, અગ્નિશામક સાધનો ઉપલબ્ધ રાખવામાં આવેલ નહીં, ગ્રાહકો માટે કોઈપણ પ્રકારની વિમા સુરક્ષા પણ લેવામાં આવેલ નહીં જેને પરિણામે પેઢીના ગ્રાહક એવા નિરવ વેકરિયાનું પેઢીના સ્થળે પેઢીની ખામીયુક્ત સેવા તથા બેદરકારીને કારણે મૃત્યુ થયેલ છે. સબબ પેઢીના ભાગીદારો, પેઢી જે સ્થળે ચાલતી હતી તે સ્થળના માલીકો મૃતક નિરવ વેકરિયાના પરિવારને 20 લાખ રૂપિયા વળતર ચૂકવે તેવી દાદ આ ફરિયાદ તળે માગવામાં આવી છે. 

આ ફરિયાદને લગતું તમામ સાધનિક રેકર્ડ કે જે રાજકોટ કલેક્ટર કચેરી, પોલીસ કમિશનર કચેરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક હોય તે તમામ દસ્તાવેજી પુરાવાઓ આયોગ સમક્ષ રેકર્ડ ઉપર લઈ આવી શકાય તે હેતુથી રાજકોટના કલેક્ટર, પોલીસ કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનરને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે.

નોંધનીય બાબત એ છે કે આ ફરિયાદનાં કાર્યને પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ ગણી એડવોકેટ ગજેન્દ્ર જાની દ્વારા કોઈ ફી લેવામાં આવશે નહીં તેવું જાહેર કરવામાં આવેલ છે તેમજ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાના કોઈપણ મૃતકના પરિવારજનો સંપર્ક કરશે, ગ્રાહક સુરક્ષા અંતર્ગત ફરિયાદ કરવા ઈચ્છશે તો તેઓ પાસેથી પણ કોઈ ફી લેવામાં આવશે નહીં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક