સોનાના ભાવ ગમે તેટલા વધે તો પણ લોકોનો મોહ ઘટતો નથી. તાજેતરના મહિનાઓમાં - સોનાના ભાવમાં ધરખમ વધારો થયો હોવા છતાં માગ અને ખરીદીમાં ઓટ આવતી નથી. સોનાની ખરીદી લોકો ‘બચત’ માટે કરે છે, કે સામાજિક મોભા અને પ્રદર્શન માટે? બચત માટે નક્કર સોનાને બદલે અન્ય વિકલ્પો સરકારે પણ આપ્યા છે. દાયકાઓ પહેલાં કેન્દ્રના નાણાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ સોના ઉપર નિયંત્રણો મૂક્યાં હતાં - ચોવીસ કેરેટના બદલે ઓછા કેરેટના અલંકારોની શરૂઆત થઈ છતાં ગોલ્ડ કન્ટ્રોલ ઍક્ટના અમલમાં નાણાપ્રધાન સફળ થયા નહીં ત્યારે ઉત્તરાખંડની ગ્રામીણ મહિલાઓએ સુવર્ણ અલંકારોના ‘પ્રદર્શન’ ઉપર સ્વૈચ્છિક પ્રતિબંધ મૂકીને સામાજિક સુધારાની નવી શરૂઆત કરી છે તેથી તેઓ અભિનંદનના અધિકારી છે. વાસ્તવમાં અન્ય રાજ્યોની મહિલાઓએ ઉત્તરાખંડનું અનુકરણ કરવું જોઈએ.
લગ્નપ્રસંગે
સુવર્ણ અલંકારોનું પ્રદર્શન કરવાની સ્પર્ધામાં ગરીબ પરિવારો બરબાદ થાય છે. દીકરીઓના
લગ્નપ્રસંગ ખુશીને બદલે પરિવારો માટે પારાવાર સંકટનો બની જાય છે. તેથી મહિલા મંગળદળ
અને યુવા મંગળદળના આગેવાનોએ સમાજની મહિલાઓને અનુરોધ કર્યો છે કે નાક-કાનના દાગીના તથા
એક મંગળસૂત્ર - સિવાય અલંકારોનું પ્રદર્શન કરવું નહીં - આ સ્વૈચ્છિક નિયમ - નિયંત્રણનો
ભંગ કરનાર પરિવારે પચાસ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.
આ
ઉપરાંત લગ્નપ્રસંગે શરાબ - દારૂની પાર્ટી રાખનાર પરિવારનો સામાજિક બહિષ્કાર થશે એવી
જાહેરાત પણ થઈ છે. હવે દેશભરમાં કેટલાં મહિલામંડળો ઉત્તરાખંડનું અનુકરણ કરશે?