• શુક્રવાર, 15 મે, 2026

રાજુલાની ધાતરવડી નદીમાં બે બાળક ડૂબ્યા

ગરમીના કારણે નદીમાં નાહવા પડેલા બાળકના મૃતદેહ ખાખબાઈ ગામ પાસે બહાર કઢાયા, પાંચ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

રાજુલા તા.14ત

રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ પાસે હૃદયદ્રાવક ઘટના બની છે. ભીષણ ગરમીથી રાહત મેળવવા ધાતરવડી નદીમાં નાહવા પડેલા બે કિશોરના ડૂબી જવાથી કરુણ મૃત્યુ નિપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે બંને પરિવારો સહિત સ્થાનિક પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી સૂર્યદેવ પ્રકોપ વરસાવી રહ્યા છે. અસહ્ય બફારા અને ગરમીથી બચવા માટે લોકો ઠંડકનો આશરો લઈ રહ્યા છે, ત્યારે રાજુલાના ખાખબાઈ ગામ નજીક વહેતી ઘાતરવડી નદીમાં નાહવા ગયેલા બે કિશોરો માટે આ નિર્ણય જીવલેણ સાબિત થયો હતો. રાજુલાના ધાખડા નગર વિસ્તારમાં રહેતા બે કિશોરો ગરમીથી રાહત મેળવવા નદીમાં નાહવા પડ્યા હતા. જોકે, પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ જતાં બંને ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને તરવૈયાઓની ટીમ દોડી આવી હતી. ભારે શોધખોળ બાદ 15 વર્ષીય ગાંડુભાઈ પરમાર અને 15 વર્ષીય દક્ષ ડોડીયાના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહોને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કરુણ ઘટનાથી બંને પરિવારો પર વજ્રઘાત થયો છે. ગાંડુભાઈ પરમાર પાંચ બહેનો વચ્ચે એકનો એક લાડકવાયો ભાઈ હતો. એકસાથે બે આશાસ્પદ કિશોરોના અકાળે અવસાનથી ધાખડા નગર વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. તંત્ર દ્વારા પણ લોકોને અજાણ્યા જળાશયોમાં નાહવા ન પડવા અપીલ કરવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક