• બુધવાર, 15 જુલાઈ, 2026

ધોરાજીના મોટી મારડમાં નવપરિણીત શ્રમિક દંપતીની ઘાતકી હત્યા

વાડીમાં ઊંઘતા પતિ-પત્ની પર બોથડ પદાર્થ વડે હુમલો કરી આરોપીઓ પલાયન

(ફૂલછાબ ન્યુઝ)

ધોરાજી,તા.14 ધોરાજી તાલુકાના મોટી મારડ ગામની સીમમાં ડબલ મર્ડરનો કિસ્સો સામે આવ્યો છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ખેડૂતની વાડીમાં મજૂરી કામ અર્થે આવેલા અને હજુ બે મહિના પહેલા લગ્નગ્રંથિથી જોડાયેલા નવપરણિત શ્રમિક દંપતીની કોઈ અજાણ્યા શખ્સોએ બોથડ પદાર્થ મારીને હત્યા કરી નાખી હતી. વહેલી સવારે વાડી માલિક જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે દંપતી લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી ચકચારી ઘટનાની વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને માત્ર ત્રણ દિવસ પહેલા મોટી મારડ ગામના ખેડૂત રમેશભાઈ ભૂતની વાડીએ મજૂરી કામે આવેલા પતિ રોહિત મથુરભાઈ ચૌહાણ અને પત્ની દુર્ગાબેનની લાશ વાડીના ખાટલા પાસેથી મળી આવી હતી. રાત્રિના સમયે વાડીમાં લાઈટ બંધ હોવાની માહિતી આપ્યા બાદ મોડી રાત્રે દંપતી જ્યારે સૂતું હતું, ત્યારે તેમના પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સવારે રોહિતની લાશ ખાટલા પર અને તેની પત્ની દુર્ગાબેનની લાશ જમીન પર પડી હતી. મૃતકના પિતા મથુરભાઈ ચૌહાણ દ્વારા પાટણવાવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ડબલ મર્ડરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઘટનાની ગંભીરતાને જોતા રાજકોટ રૂરલ એસ.પી. વિજયાસિંહ ગુર્જર, ડી.એસ.પી સિમરન ભારદ્વાજ, ડી.વાય.એસ.પી. રોહિતાસિંહ ડોડીયા સહિત રાજકોટ રૂરલ એલસીબી અને એસઓજીની ટીમો તેમજ પાટણવાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક મોટી મારડ ખાતે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડÎ છે. પાટણવાવ પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળનું પંચનામું કરીને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક