16 વર્ષના વનરાજની ઘાતકી હત્યા
કરી લાશ ઓડદરની સીમમાં દાટી દીધી: પુત્રને શોધવા ગયેલા પિતા વેલજીભાઈને પણ માર મારી
લોહીલુહાણ કર્યા
પોરબંદર, તા. 3: પોરબંદરની ચોપાટી
પર ફૂટપાથ પર રહેતા પરિવારના 16 વર્ષીય કિશોરને છ વર્ષ અગાઉ થયેલા હત્યા કેસની અદાવત
રાખીને રક્ષાબંધનના દિવસે બહેનને રાખડી બંધાવવાના બહાને બોલાવીને અપહરણ કરીને તીક્ષ્ણ
હથિયાર વડે હત્યા નિપજાવ્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને ઓડદર ગામની પણજુ સીમના
ખારામાં ખાડો કરીને દાટી દેવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, અને સરકારી
ભાવાસિંહજી હોસ્પિટલમાં બિનવારસી હાલતમાં પડેલી લાશના હાથ પર ત્રોફાવેલા નામ, હાથના
કડા તથા રક્ષાબંધનના કપડાંના આધારે મૃતકની ઓળખ થતાં તેમજ આરોપીઓ દ્વારા મૃતકના પિતા
પર હુમલો કરવામાં આવતા હાર્બર મરીન પોલીસ મથકે હત્યા અને મારામારી અંગે અલગ-અલગ ગુનાઓ
નોંધવામાં આવ્યા છે.
આ ગંભીર બનાવની પ્રાપ્ત માહિતી
અનુસાર, પોરબંદર ચોપાટી પર ટ્રાફિક ઓફિસ પાસે ફૂટપાથ પર રહીને ભિક્ષાવૃત્તિ કરતાં જસુબેન
વેલજીભાઈ વાઘેલાએ હાર્બર મરીન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ છ વર્ષ પહેલાં
લાલુ ચના મચ્છીયાવાનું ખૂન થયું હતું જેમાં જસુબેનના પતિ વેલજી મનજી વાઘેલા પાંચ વર્ષ
જેલમાં રહ્યા બાદ એક વર્ષ અગાઉ નિર્દોષ છૂટયા હતા, જેની અદાવત રાખીને ગત 28 ઓગસ્ટના
રોજ રક્ષાબંધનના દિવસે લાલુના પુત્રો અનિલ લાલુ મચ્છીયાવા અને રાહુલ લાલુ મચ્છીયાવા
ચોપાટીએ આવીને પોતાની બહેન વનીતાને રાખડી બંધાવ્યા બાદ 16 (જુઓ પાનું 8)
વર્ષીય
કિશોર વનરાજ ઉર્ફે વની વેલજી વાઘેલાને ‘વનુમામા, અમારી પાસે બેસવા આવ’ કહીને પોતાની
સાથે એસ.ટી. ફુવારા તરફ લઈ ગયા હતા અને બપોર બાદ વનરાજ પરત ન ફરતા પરિવારજનો દ્વારા
ચોપાટીથી લઈને ઓડદરના રામખડા સીમ વિસ્તાર સુધી ભારે શોધખોળ કરવામાં આવી હતી, જે દરમિયાન
ઓડદર વિસ્તારમાંથી એક પુરુષની લાશ મળી હોવાની જાણ થતાં સરકારી ભાવાસિંહજી હોસ્પિટલમાં
જસુબેને હાથ પર ‘વનરાજ’ નામ ત્રોફાવેલું હોવાથી, હાથના કડા અને કપડાના આધારે મૃતક પુત્રની
ઓળખ કરી હતી અને તે જ અરસામાં અનિલ, રાહુલ, દલસુખ અને તેમના કાકાના પુત્ર રોહીતે ચોપાટી
પર આવીને વેલજીભાઈ સાથે ઝઘડો કરી રોહીત અને રાહુલે વેલજીભાઈને માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડતા
તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા, જેથી પી.આઈ. સી. કે. કાતરિયાએ જસુબેનની ફરિયાદના
આધારે અનિલ લાલુ મચ્છીયાવા અને રાહુલ લાલુ મચ્છીયાવા સામે હત્યાનો ગુનો નોંધીને તેમજ
વેલજીભાઈ વાઘેલાની ફરિયાદના આધારે રોહીત અને રાહુલ સામે મારામારીનો ગુનો નોંધીને કાયદેસરની
સઘન તપાસ શરૂ કરી છે.