• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

રાજકોટના વેપારી સાથે 1.44 અબજનો ફ્રોડ

            ઇન્ડોનેશિયન કોલસાના ધંધામાં ઊંચા વળતરની લાલચ આપી છેતરાપિંડી 

અમદાવાદી ઈઅ અને તેના મિત્રો સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ દાખલ 

રાજકોટ,તા.8:રાજકોટ અને આસપાસના વિસ્તારના અગ્રણી વેપારીઓ સાથે અમદાવાદના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને તેમના સાગરીતોએ ઇન્ડોનેશિયન કોલસાના ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં અધધ નફાની લાલચ આપીને કુલ રૂ.1.44 અબજથી વધુનો આર્થિક ધુમાડો કર્યો હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. ’ટર્નરેસ્ટ રિસોર્સીસ પ્રા.લી.’ નામની કંપનીના નામે આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેમાં સૂત્રધાર તરીકે અમદાવાદના સી.એ. જય હર્ષદકુમાર ચોટલીયા, મનીષ ગાવિંદભાઈ ડાંગી (રહે. અમદાવાદ) અને મિતેશ કીરીટકુમાર સંઘવી (રહે. રાજકોટ) સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ ત્રણેય ડિરેક્ટરોએ મિલકતો બેંકમાં ગિરવે મુકાવીને કરોડો રૂપિયાની લોન આ કંપનીમાં રોકાણ કરાવવાના નામે પડાવી લીધી હતી અને પાંચ વર્ષ સુધી કોઈ જ વળતર કે મૂડી પરત ન આપીને મોટો વિશ્વાસઘાત આચર્યો હતો.

આ સમગ્ર કૌભાંડને અંજામ આપવા માટે આરોપીઓએ રોકાણકારોને આગામી પાંચ વર્ષમાં કંપનીનું ટર્નઓવર રૂ.1500 થી રૂ.2000 કરોડ સુધી પહોંચાડવાની મનઘડંત વાતો કરી હતી અને તેમાંથી ભારેખમ નફો અપાવવાની લોભામણી જાળ બિછાવી હતી. આ યોજના અંતર્ગત ફરિયાદી જયેન્દ્રભાઈ મુળજીભાઈ અકબરી તેમજ તેમના પરિચિતો કેશુભાઈ હરિભાઈ બોદર, ખોડાભાઈ મોહનભાઈ બોઘરા, રસિકભાઈ બોદર અને ભાનુબેન બોદર જેવા અગ્રણીઓની રાજકોટ જિલ્લાના લોધીકાના વડ વાજડી ગામની કિંમતી બિનખેતી જમીન તથા અન્ય મિલકતો ’ધી કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ લી.’ માં મોર્ગેજ એટલે કે જામીન તરીકે મુકાવી હતી. ત્યારબાદ આ મિલકતો પર કુલ રૂ.1,44,19,26,000 ની માતબર રકમની લોન અને કેશ ક્રેડિટ (સી.સી.) મંજૂર કરાવીને તે નાણાં સીધા જ પોતાની કંપનીમાં ડિપોઝિટ તરીકે લેવડાવ્યા હતા અને શરત મૂકી હતી કે આગામી પાંચ વર્ષ સુધી આ ડિપોઝિટ કે મિલકતો છોડાવી શકાશે નહીં.

આરોપીઓએ રોકાણકારોને લાંબા સમય સુધી અંધારામાં રાખવા માટે સમયાંતરે બોગસ ઓડિટ રિપોર્ટ્સ અને માલના ખરીદ-વેચાણને દર્શાવતા બનાવટી ઈ-મેઈલ્સ મોકલ્યા હતા જેથી કોઈને શંકા ન જાય. જો કે, પાંચ વર્ષનો નિર્ધારિત સમય વીતી જવા છતાં રોકાણકારોને નફાનું એક પણ રૂપિયો કે મૂળ રકમ પરત ન મળતા આ આખું કૌભાંડ બહાર આવ્યું હતું. એટલું જ નહીં, બેંકની લોન કે સી.સી. ના રિન્યુઅલ વખતે પણ રોકાણકારોની કોઈપણ પ્રકારની મંજૂરી કે જાણકારી વગર તેમના દસ્તાવેજોમાં ખોટી અને બોગસ સહીઓ કરીને છેતરાપિંડી આચરવામાં આવી હોવાનું પણ તપાસમાં ખૂલ્યું છે. આ ગંભીર બાબત સામે આવતા રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું, વિશ્વાસઘાત છેતરાપિંડી અને નકલી દસ્તાવેજો બનાવવાની કલમો હેઠળ સત્તાવાર ગુનો નોંધીને કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક