ચોર દાગીના સાથે સી.સી.ટી.વી. કેમેરાનું ડીવીઆર પણ ચોરી ગયા
સુરત, તા.28 : પાંડેસરા વિસ્તારના
તેરેનામ રોડ પર ગીતા નગર ખાતે ક્રિષ્ના જ્વેલર્સ નામની ચાંદીના દાગીના અને મૂર્તિઓની
એક દુકાન આવેલી છે. આ દુકાનના માલિક મનોજભાઈ સોનીના જણાવ્યા મુજબ, ગત મોડી રાતથી લઈ
આજે વહેલી સવારના સમયગાળા દરમિયાન તસ્કરોએ જ્વેલર્સની દુકાનની ઉપરની છતનું પતરું કાપ્યું
હતું અને ત્યાંથી દુકાનની અંદર પ્રવેશ કરી દુકાનમાં રાખેલા કિંમતી સોના-ચાંદીના દાગીના
સહિતનો લાખોનો મુદ્દામાલ ચોરીને ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે જાણ થતાં જ પાંડેસરા પોલીસનો
ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી પ્રાથમિક
તપાસ હાથ ધરી છે. તસ્કરોનું પગેરું મેળવવા માટે પોલીસે દુકાન તેમજ આસપાસના વિસ્તારના
અલગ-અલગ સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી છે.
ચોરીની ઘટનાને લઈ પોલીસ દ્વારા
તપાસ હાથ ધરવામાં આવી હતી અને દુકાનદાર પાસેથી ચોરી થયેલા માલનાં બિલ માગવામાં આવ્યાં
હતાં. દુકાનદાર દ્વારા પહેલાં જણાવાયું હતું કે, 30 લાખથી વધુની ચોરી થઈ છે જ્યારે
તેની પાસેથી 7.42 લાખના જ બિલ મળતા 7.42 લાખના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધવામાં
આવી છે. જેમાં સોના-ચાંદી સહિત 4 કિલોનો સમાવેશ થઈ રહ્યો છે. છેલ્લાં ચાર વર્ષમાં ચોરો
દ્વારા આ દુકાનને ચોથી વાર નિશાન બનાવવામાં આવી છે.