-સુપ્રીમ
કોર્ટે યથાસ્થિતિ જાળવવા આપ્યો આદેશ: સમિતિ રચવા સૂચન
ચંદીગઢ,
તા. 24 : હરિયાણા અને પંજાબ વચ્ચે શંભુ સરહદ હજુ ખૂલશે નહીં. કિસાન આંદોલનને કારણે
હરિયાણા સરકારે અહીં બેરિકેડિંગ કરીને તેને બંધ રાખી છે. સરહદ ખોલવા અંગે હરિયાણા સરકારે
હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. આજે સુનાવણી દરમ્યાન સુપ્રીમ
કોર્ટે કિસાનો જ્યાં 13 ફેબ્રુઆરીથી એકઠા થયા છે તે અંબાલા પાસે શંભુ સીમાએ યથાસ્થિતિ
જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટે
પંજાબ અને હરિયાણાને શંભુ સીમાએ ક્રમબદ્ધ રીતે બેરિકેડ્સ હટાવવા પગલાં ભરવાનો નિર્દેશ
આપ્યો હતો જેથી લોકોને કોઈ અસુવિધાનો સામનો કરવો પડે નહીં.
સર્વોચ્ચ
અદાલતે જણાવ્યું હતું કે તે એક નિષ્પક્ષ સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ મૂકી રહી છે.
આ સમિતિમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ હશે જે કિસાનો અને અન્ય હિતધારકોથી સંપર્ક કરીને તેમની
માગણીઓનો એવો વ્યવહારુ ઉકેલ શોધશે જે નિષ્પક્ષ, ન્યાયસંગત અને બધાના હિતમાં હોય એમ
અદાલતે ઉમેર્યું હતું.