નવી
દિલ્હી, તા. 28 : કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂરમાં આતંકી
છાવણીઓ નષ્ટ કરી હતી. આ ઓપરેશન બાદ પાક. સામે સૈન્ય ઘર્ષણની આશંકાએ દેશના સીમાવર્તી
વિસ્તારોમાં મોકડ્રીલ શરૂ થઈ હતી. આવી જ મોકડ્રીલ ફરીથી ચાર રાજ્યમાં આવતીકાલે યોજવા
ઓચિંતા જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં
ગુરૂવારે સાંજે મોકડ્રીલ કરવામાં આવશે તેવી ઘોષણા થઈ હતી. જો કે આ જાહેરાતનાં અમુક
કલાકોમાં જ મોડી સાંજે વહીવટી કારણોસર મોકડ્રીલ સ્થગિત કરવાની જાહેરાત થતાં અચરજ ફેલાયું
હતું. ચોતરફ સવાલ ચર્ચાવા માંડયો હતો કે, પહેલા શા માટે આવી કવાયત યોજવાની ઘોષણા થઈ
અને પછી શા માટે આ નિર્ણય ફેરવી તોળવામાં આવ્યો? આ પહેલા પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે
7મી મેના રોજ દેશના 244 જીલ્લામાં મોકડ્રીલનું એલાન કરવામાં આવ્યું હતું. જો કે 6-7
મેની રાતે જ પાકિસ્તાન અને પીઓકેમાં રહેલી આતંકી છાવણીઓને નિશાન બનાવવામાં આવી હતી.