25મી
જૂને થશે મતગણતરી: 1.30 કરોડથી વધુ મતદારો તેમના સ્થાનિક પ્રતિનિધિઓ ચૂંટશે : આજથી
આચારસંહિતા લાગુ
અમદાવાદ,
તા.28 : છેલ્લા લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે ગુજરાતની 8326 ગ્રામ પંચાયતોની
ચૂંટણીની તારીખો આખરે જાહેર થઈ ગઈ છે. આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે
આ જાહેરાત કરતાં ગ્રામીણ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 22 જૂને મતદાન થશે અને તેના
માત્ર ત્રણ દિવસ બાદ 25 જૂને મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણીઓ દ્વારા રાજ્યના 1.30 કરોડથી
વધુ મતદારો તેમના સ્થાનિક પ્રતિનિધિઓ અને સરપંચોને ચૂંટશે.
ગ્રામ
પંચાયત ચૂંટણીઓ ઘઇઈ અનામતના મુદ્દે લાંબા સમયથી અટકી પડી હતી અગાઉ 10% અનામત હતી, જેને
ઝવેરી કમિશનની ભલામણ અને વિધાનસભામાં પસાર થયેલા કાયદા દ્વારા વધારીને 27% કરવામાં
આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ ચૂંટણી પંચે લીલી ઝંડી આપી છે. સરપંચ સહિતના પદો
માટે રોટેશન પ્રક્રિયા જાહેર કરવાની સૂચના પણ તમામ જિલ્લા કલેક્ટરોને આપી દેવામાં આવી
છે, જે લોકશાહી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવશે.
રાજ્યના
ચૂંટણી કમિશનર ડો એસ મુરલીકૃષ્ણે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ, આગામી 2 જૂને ચૂંટણી
માટેનું જાહેરનામું બહાર પડાશે. ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ 9 જૂન છે, જ્યારે
ફોર્મની ચકાસણી 10 જૂનના રોજ થશે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ 11 જૂન નિર્ધારિત
કરાઈ છે. આ ચૂંટણી 1 એપ્રિલ 2022 થી 30 જૂન 2025 સુધીમાં જે ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ
થતી હોય તેવી તમામ પંચાયતો માટે યોજાશે. કુલ 8326 પંચાયતોમાંથી 4688 પંચાયતમાં (સામાન્ય
/વિભાજન/ મધ્યસત્ર ચૂંટણી) જ્યારે 3638 પંચાયતમાં પેટા ચૂંટણી યોજાશે.
ઉલ્લેખનીય
છે કે ગુજરાતમાં જ 4 હજાર ગ્રામ પંચાયતમાં 3 વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે,
જેમાં વધુ 1400 પંચાયતની મુદ્દત 30 જૂને પૂર્ણ
થઈ રહી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા આજથી જ આદર્શ આચારસંહિતા લાગુ થઇ ગઇ છે.
રસપ્રદ વાત એ છે કે, આ ગ્રામ પંચાયત ચૂંટણીઓ વીસાવદર અને કડી વિધાનસભા બેઠકો પર યોજાનારી
પેટાચૂંટણીઓ સાથે સુમેળ સાધશે. આ પેટાચૂંટણીઓ માટે 19 જૂને મતદાન થશે અને 23 જૂને પરિણામ
આવશે. એટલે કે, વિધાનસભા પેટાચૂંટણીના પરિણામના એક દિવસ પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણી
યોજાશે. મહત્વની વાત એ છેકે, પંચાયતોની ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે,
ઈવીએમનો ઉપયોગ થશે નહીં.
ચૂંટણી
પંચે મતદાન મથકો, સ્ટ્રોંગરૂમ, બેલેટ પેપર છાપવા, ચૂંટણી સાહિત્યની ખરીદી અને પોલીસ
સહિતના ચૂંટણી સ્ટાફની તાલીમ માટેના આદેશો આપી દીધા છે, અને તેની તૈયારીઓ પૂર્ણ થઈ
ગઈ છે. ગ્રામ પંચાયતની ચૂંટણી કુલ 44,850 જેટલા વોર્ડમાં યોજાશે. કુલ 16,500 મતદાન
મથકો પર મતદારો મતદાન કરશે.28,300 મતપેટીઓ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાશે.આ
ચૂંટણીમાં 12 વોર્ડ સુધી ખર્ચ મર્યાદા 15 હજાર રખાઈ છે.જ્યારે 13 થી 22 વોર્ડ સુધી
ખર્ચ મર્યાદા રૂપિયા 30 હજાર રખાઈ છે.22 વોર્ડથી ઉપર ખર્ચ મર્યાદા 45 હજાર રૂપિયા રહશે.
ગુજરાત
કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ ગ્રામ પંચાયતની જાહેર થયેલ ચુટંણીઓને આવકારી છે. લાંબા સમયથી કોંગ્રેસની માંગ
હતી કે ગ્રામ પંચાયતોને વહિવટદારથી મુક્તિ મળે. દેશમાં જેને પંચાયતી રાજનું મોડલ આપનાર
ગુજરાતના ગામડા 36 મહિનાથી ચુટંયેલા પ્રતિનિધિથી વંચિત છે. ભાજપ નેતા ઋત્વિજ પટેલે
જણાવ્યું હતું કે, કોઈ સિમ્બોલ પર ચૂંટણી લડાતી નથી પણ વિચારધારા સાથે જોડાયેલા લોકો
ચૂંટણી લડતા હોય છે. આજે ચુંટણી જાહેર થઈ ગઇ છે એટલે કોંગ્રેસના આક્ષેપોનો પણ છેદ ઉડી
ગયો છે.
---------------
વિસાવદર
વિધાનસભા ચૂંટણી : બે પૂર્વ
ધારાસભ્ય
સહિત 6 દાવેદાર મેદાનમાં
પૂર્વ
જિલ્લા ભાજપ પ્રમુખ દાવેદારીથી દૂર રહ્યાં : જૂનાગઢના યુવાને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી
જૂનાગઢ
તા.28 : વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે
સેન્સ પ્રક્રિયા યોજાઇ હતી જેમાં પ્રદેશ ભાજપ નિયુકત નિરીક્ષકો મોહનભાઇ કુંડારીયા અને
અમીબેન પારેખ સમક્ષ પૂર્વ ધારાસભ્યો ભૂપતભાઇ ભાયાણી અને હર્ષદભાઇ રીબડીયા સહિત છ દાવેદારોએ
દાવેદારી નોંધાવી હતી.
મોહન
કુંડારિયાએ જણાવ્યું હતું કે તમામ દાવેદારોને અહીં સાંભળવામાં આવ્યા છે. તેમનું લિસ્ટ
પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જ વિસાવદર
પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવારનું નામ જાહેર કરશે. અન્ય દાવેદારોમાં ઘનશ્યામ સાવલિયા,
વીરેન્દ્ર સાવલિયા,રામભાઈ સોજીત્રા, રમણીક દુધાત્રાનો સમાવેશ થાય છે આ બેઠક ઉપર પૂર્વ
જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ દાવેદારી કરે તેવી પુરી શક્યતા હતી પરંતુ કોઇ કારણોસર
તેઓ દાવેદારીથી દૂર રહ્યા છે. આ ઉપરાંત જૂનાગઢના લોઠિયાવાડી પાસે કૃષ્ણનગરમાં રહેતા
રાજચંદ્રકાંત પ્રજાપતિએ અપક્ષ ઉમેદવાર તરીકે પોતાના ટેકેદારો સાથે દાવેદારી નોંધાવી
હતી.
ઉલ્લેખનીય
છે કે, વિસાદવર વિધાનસભા પેટાચૂંટણીનું મતદાન તા.19 જૂનના રોજ થશે. ત્યારે જૂનાગઢ જિલ્લા
ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ રાણાવસિયાની દેખરેખમાં પ્રથમ રેન્ડમાઈઝેશન પૂર્ણ થયું
છે જેમાં 1059 જેટલા અધિકારી-કર્મચારીની પ્રિસાઈડિંગ, પોલીસ-1 અને પોલીંગ ઓફિસર તરીકે
ફરજ નક્કી થઈ છે. દરમિયાન વરસાદી માહોલમાં ચૂંટણીની કામગીરીમાં વિક્ષેપ ઉભો નહીં થવા
દેવાય તેવું આજરોજ જિલ્લા કલેક્ટર અનીલકુમાર રાણાવસીયાએ જણાવ્યું હતું.
-----------------------
અમરેલી
જિલ્લાની 307 અને જૂનાગઢ
જિલ્લાની
215 ગ્રામ પંચાયતની ચૂંટણી
અમરેલી,
જૂનાગઢ તા.28 : અમરેલી જિલ્લામાં 307 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે જે પૈકી 104 સામાન્ય,
6 વિભાજન, 4 વિસર્જન, 16 સરપંચ, 251 વોર્ડ પેટા અને 193 ગ્રામ પંચાયતોમાં પેટાચૂંટણી
યોજાશે. જૂનાગઢ જિલ્લામાં કુલ 493 ગ્રામપંચાયતો આવેલી છે તે પૈકી 84 ગ્રામ પંચાયતોમાં
સામાન્ય ચૂંટણી અને 131 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીઓ મળી જિલ્લાની કુલ 131 ગ્રામ પંચાયતોમાં પેટાચૂંટણીઓ મળી જિલ્લાની કુલ 215 ગ્રામ
પંચાયતોમાં આગામી તા.22ના ચૂંટણીઓ યોજાશે.