• મંગળવાર, 28 ઑક્ટોબર, 2025

ગુજરાત સહિત 12 રાજ્યમાં આજથી SIR

સીઈસી જ્ઞાનેશ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં આપી પ્રક્રિયાની પૂરી જાણકારી

ઘરે ઘરે જઈને ત્રણ વખત બીએલઓ કરશે ખરાઈ : 7 ફેબ્રુઆરી 2026ના થશે અંતિમ મતદાર યાદી જાહેર

આનંદ કે. વ્યાસ

નવી દિલ્હી, તા. 27 : બિહાર બાદ હવે ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં એસઆઈઆર પ્રક્રિયા શરૂ કરવાની ઘોષણા કરી દેવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ મારફતે મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે 12 રાજ્યમાં મતદાર યાદીના એસઆઈઆર (સ્પેશિયલ ઈન્ટેન્સીવ રિવિઝન)નો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે અને આવતીકાલ મંગળવારથી જ કામગીરી શરૂ થઈ જશે. જ્યારે 7 ફેબ્રુઆરી 2026ના અંતિમ મતદાર યાદીનું પ્રકાશન કરવામાં આવશે. આ પહેલા સોમવારે રાતથી મતદાર યાદી ફ્રીઝ કરી દેવામાં આવી હતી. પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીના અપડેશન, નવા મતદારના નામ જોડવા અને ત્રુટિઓને સુધારવાનું કામ કરવામાં આવશે. બીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં એસઆઈઆર પ્રક્રિયા થશે. આ 12 રાજ્યોમાં અંદામાન નિકોબાર, ગોવા, પુડ્ડુચેરી, ગુજરાત, કેરળ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને લક્ષદ્વીપ સામેલ છે. સીઈસી જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે, અભ્યાસ દરમિયાન બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) પ્રત્યેક મતદાતાના ઘરે ઓછામાં ઓછી ત્રણ વખત મુલાકાત કરશે. જેથી નવા મતદારને યાદીમાં જોડી શકાય અને કોઈપણ ભૂલને સુધારી શકાય. જ્ઞાનેશ કુમાર અનુસાર બીએલઓ ઘરે ઘરે જઈને ફોર્મ-6 અને ડિક્લેરેશન ફોર્મ એકત્રિત કરશે, નવા મતદારોને ફોર્મ ભરવામાં મદદ કરશે અને ઈઆરઓ (ઈલેક્ટ્રોરલ રજીસ્ટ્રેશન ઓફિસર) અથવા એઈઆરઓને સોંપશે. મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે ફેઝ-2ની ટ્રેનિંગ મંગળવારથી શરૂ થશે. મુદ્રણ/પ્રશિક્ષણનું કામ 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી ચાલશે. જ્યારે ઘરે ઘરે ગણતરીની પ્રક્રિયા ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી થશે. ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન 9 ડિસેમ્બર 2025ના રોજ કરવામાં આવશે. દાવા અને વાંધાની અવધિ નવ ડિસેમ્બર 2025થી 8 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. જે લોકોને નોટિસ જશે તેની સુનાવણી અને ખરાઈ 9 ડિસેમ્બર 2025થી 31 જાન્યુઆરી 2026 સુધી થશે. અંતિમ મતદાર યાદીનું પ્રકાશન 7 ફેબ્રુઆરી 2026ના કરવામાં આવશે.

આ સાથે તમામ મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારીને નિર્દેશ આપવામાં આવ્યો છે કે આગામી બે દિવસની અંદર રાજનીતિક દળો સાથે મળીને એસઆઈઆર પ્રક્રિયાની જાણકારી આપવામાં આવે.તેમજ વૃદ્ધ, બીમાર, દિવ્યાંગ, ગરીબ અને કમજોર વર્ગને કોઈપણ પ્રકારની પરેશાની ન થાય તે માટે લોકોની તૈનાતી કરવામાં આવશે. જ્ઞાનેશ કુમારે સ્પષ્ટ કર્યું હતું કે, કોઈપણ મતદાર કેન્દ્રમાં 1200થી વધારે મતદારો નહી રહે.

દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે, તેઓ બિહારના મતદાતાઓને શુભકામના આપે છે અને 7.5 કરોડ મતદાતાઓને નમન કરે છે જેઓએ બિહાર એસઆઈઆર પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નિભાવીને સફળ બનાવી છે. હવે જે રાજ્યોમાં એસઆઈઆર થવાનું છે ત્યાંની મતદાર યાદી સોમવારે રાત્રે જ ફ્રીઝ કરી દેવામાં આવશે.

જ્ઞાનેશ કુમાર અનુસાર એવા ઘણા કારણો છે જેના લીધે એસઆઈઆર પ્રક્રિયાની જરૂરિયાત છે. જેમાં વારંવાર પલાયન સામેલ છે. જેના કારણે મતદાતાઓનું એકથી વધારે જગ્યાએ રજીસ્ટ્રેશન થયું હોય છે. મૃત મતદાતાના નામ હટાવવામાં આવે છે અને કોઈ વિદેશીનું ખોટી રીતે યાદીમાં નામ ઉમેરાયું હોય તો તેને સુધારવાની કામગીરી સામેલ છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સુરતમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં નોકરી કરનારે મહિલાકર્મીનો બિભત્સ વીડિયો બનાવી 60 લાખ પડાવી લીધા આરોપીએ કંપનીના ડેટા ચોરી લઈ બદનામ કરવાની ધમકી આપી વધુ રૂ.1.20 કરોડની માગણી કરી’તી October 28, Tue, 2025