બહુ ગાજેલા મક્કા કરાર પછી સાઉદીમાં હૂથીનાં હુમલા છતાં પાક. અને તુર્કીનું મૌન
નવી દિલ્હી, તા.11ઃ સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે તાજેતરમાં થયેલો મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર પોતાની પહેલી જ મોટી કસોટીમાં નિષ્ફળ થતો દેખાઈ રહ્યો છે. ઈરાન સમર્થિત યમનના હૂથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના જાજાન સ્થિત અરામકો રિફાઇનરી ઉપર ડ્રોનથી હુમલો કર્યો હતો. પરંતુ એક ઉપર હુમલો એટલે ત્રણેય ઉપર હુમલો સમજવાનો દાવો કરનાર આ નવા બનેલા ગઠબંધને કોઈ સૈન્ય કાર્યવાહી કરી કે હુમલા પછી કોઈ પ્રતિક્રિયા પણ આપી નથી.
આમ, ઈસ્લામિક નાટોનાં સપનાં જોતા ત્રણેય દેશનાં આ સૈન્ય ગઠબંધનની વાસ્તવિકતા ગણતરીનાં કલાકોમાં જ સામે આવી ગઈ છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાન અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે શુક્રવારે મક્કામાં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર થયાના માત્ર 48 કલાક
બાદ રવિવારે સવારે હૂથી વિદ્રોહીઓએ જાજાનની રિફાઇનરીને નિશાન બનાવી હતી. હૂથી સૈન્ય પ્રવક્તા યાહ્યા સારીએ કહ્યું હતું કે આ હુમલો સાઉદી અરેબિયા દ્વારા સાદા અને હજ્જાહ પ્રાંતોમાં કરવામાં આવી રહેલા ડ્રોન ઓપરેશનોના જવાબમાં કરવામાં આવ્યો હતો. સાઉદી ઊર્જા મંત્રાલયે પણ રિફાઇનરીમાં આગ લાગવાની પુષ્ટિ કરી હતી, જેને બાદમાં કાબૂમાં લઈ લેવામાં આવી હતી.
મક્કા કરારમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આ ત્રણ પૈકી કોઈ એક દેશ પર સશસ્ત્ર હુમલો થાય તો તેને ત્રણેય દેશો પરનો હુમલો માનવામાં આવશે. તેમ છતાં, જાજાન હુમલા બાદ ન તો તુર્કી અને ન તો પાકિસ્તાને કોઈ પ્રતિક્રિયા આપી. આ કારણે વાસ્તવિક સંકટની સ્થિતિમાં આ કરાર કેવી રીતે કામ કરશે તે અંગે મોટા સવાલો ઊભા થયા છે. આ કરારને ઈસ્લામિક નાટો અથવા તો મોટા સુન્ની ગઠબંધનના પાયા તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેને સાઉદી અરેબિયા માટે પાકિસ્તાનની પરમાણુ હિફાજત પણ કહેવામાં આવી હતી પરંતુ કરારની ઝીણવટભરી વિગતો કંઈક અલગ જ વાત રજૂ કરે છે.