બંગાળના મુર્શીદાબાદ સહિતના વિસ્તારમાં ચાલી રહેલી હિંસા ચિંતાજનક જ નહીં, નિંદાપાત્ર પણ છે અને તેમાં પણ પ્રશાસન-સરકાર તરફથી દર્શાવવામાં આવી રહેલી નિક્રિયતા અને પક્ષપાત વધારે નિંદનીય છે. વકફનો વિરોધ એક વાત છે અને તેને લીધે હિંસા થાય, વકરે અને છેક એક સમુદાયની - હિન્દુઓની હિજરત સુધી વાત પહોંચી જાય તે પરાકાષ્ટા છે. આ સ્થિતિમાં બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોસ મુર્શીદાબાદમાં હિંસાનો ભોગ બનેલા લોકોને મળવા માલદા પહોંચ્યા તે ઝખ્મો ઉપર મલમ લગાવવાનું પગલું હતું. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ થોડો સમય ત્યાં ન જવાનો આગ્રહ કર્યો તેમ છતાં રાજ્યપાલ પહોંચ્યા. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે શાંતિની પુન:સ્થાપનાના પ્રયાસ ચાલી રહ્યા છે તેમ છતાં રાજ્યપાલ ગયા કારણ કે વાસ્તવિકતા તેઓ પણ જાણતા હતા.
પ્રજામાં
વિશ્વાસ પુન: પ્રસ્થાપિત કરવા માટે, હિંસાની સ્થિતિમાં લોકોને સાંત્વન આપવા માટે રાજ્યપાલ
પહોંચ્યા તેના બદલે મુખ્યપ્રધાન મમતા બેનર્જી
પોતે જ પહોંચ્યા હોત તો, તેમની સરકારના કોઈ મંત્રીને પણ તેઓએ હિંસાગ્રસ્ત વિસ્તારમાં
મોકલ્યા હોત તો પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરવાનો તે પ્રયાસ ગણાયો હોત. મુસ્લીમ મતબેન્ક
અને મમતા બેનર્જી એવી જે અને જેટલી વાતો થાય છે તેને જાણે તેઓ જાતે જ ખરી પુરવાર કરતા
હોય તેવી આ સ્થિતિ છે. કારણ કે જ્યાંથી સેંકડો હિન્દુઓએ હિજરત કરી, મકાનો સળગ્યાં,
ધર્મસ્થાનો સળગ્યાં ત્યાં સરકારના પ્રતિનિધિ તરીકે તેમણે કોઈને મોકલ્યા નહીં, પોતે
ગયા નહીં અને રાજ્યપાલને જવાની ના કહી.
કેટલાક
નાગરિકો હિંસક ટોળાંના આંતક અને ભયને લીધે પોતાના ઘર છોડવા માટે મજબૂર થઈ જાય તે કોઈ
પણ રાજ્ય માટે શરમજનક અને કલંક કહી શકાય તેવી હાલત છે તેમાં અન્ય અભિપ્રાય હોઈ શકે
નહીં. વિરોધ વકફ બોર્ડ સુધારા કાયદાનો છે. કેન્દ્ર સરકારની સામે છે. પરંતુ નિર્દોષ
માણસો હેરાન થઈ રહ્યા છે અને આવી હિંસાનો ભોગ બનનારને બચાવવા માટેની બંગાળ સરકારની
માનસિકતા ક્યાંય દેખાતી નથી.
મુર્શીદાબાદથી
ભાગીને જે લોકો માલદા ગયા તેમનો વાંક કદાચ એટલો હતો કે તેઓ હિન્દુ હતા. વકફ કાયદા કે
સંસદની કાર્યવાહી સાથે તેમને કોઈ સંબંધ કે નિસબત નથી છતાં તેમની સાથે આવું થયું. અને
છતાં તેમણે સહન કરવું પડયું. ઘર સળગ્યાં. હત્યાઓ થઈ. દેવી-દેવતાઓની પ્રતિમા બનાવનાર
પિતા-પુત્રે જીવ ગુમાવ્યા. મંદિરોમાં તોડફોડ થઈ. આ એક પણ હુમલા કે બનાવને વકફ કાયદા
સાથે સીધો સાંકળી શકાય નહીં. હિન્દુઓ માટે નફરત અને અત્યાચાર ફેલાવવાનું એક નિમિત્ત
જાણે કેટલાક હિંસક લોકોને મળી ગયું એમ કહી શકાય. બંગાળમાં આવું પહેલીવાર નથી બન્યું.
ધર્મનિરપેક્ષતા એક વાત છે અને કોઈ એક કોમ પ્રત્યે- તે હિંસા ફેલાવે તેમ છતાં કાનૂની
કાર્યવાહી ન કરીને તેના કાર્યોને પરોક્ષ રીતે અનુમોદન આપવું તે બીજી બાબત છે. આવું
થયા પછી પણ જો મમતાબહેન કે તેમના સમર્થક એવું કહે કે તેઓ તુષ્ટિકરણ નથી કરતા તો તે
પ્રજાને મુર્ખ બનાવવા સિવાય બીજું શું હોઈ શકે ?
મુર્શીદાબાદ-માલદામાં જે થયું તે પછી અલબત્ત માનવાધિકાર કે મહિલા આયોગે તેની
નોંધ લીધી છે પરંતુ વર્તમાન સરકાર બંગાળમાં છે ત્યાં સુધી કોમી હિંસા અટકે તેવી શક્યતા
નથી લાગતી.