શંખેશ્વરના દંપતીએ સુસાઈડ નોટ લખી 10 વર્ષના પુત્ર સાથે નર્મદા કેનાલમાં પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું : પોલીસ તપાસનો ધમધમાટ
અમદાવાદ, તા.8: મહેસાણાના કડીમાં
વ્યાજખોરના ત્રાસથી શંખેશ્વરના દંપતીએ 10 વર્ષના પુત્ર સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી
સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી
આવી છે. પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો છે અને વ્યાજખારોના ત્રાસથી આપઘાત
કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. સમગ્ર મામલે કડી પોલીસે કાર્યવાહી હાથ ધરી
છે.
જાણવા મતળી વિગત મુજબ શંખેશ્વરમાં
રહેતા પતિ, પત્નીએ બાળક સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. પોલીસને
નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. કડીના આદુંદરા કેનાલમાંથી પત્ની ઉર્મિલાબેન
પંચાલ (ઉં. 36) અને બાળક પ્રકાશ પંચાલ (ઉં. 10), પતિ ધર્મેશભાઈ પંચાલ (ઉં. 38) વર્ષનો
મૃતદેહ મળ્યો છે. પોલીસે ત્રણેયના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયા છે.
પોલીસે પરિવારના અન્ય સભ્યોના નિવેદન પણ લીધા છે અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી
કરી છે.
પોલીસને જે સ્યુસાઈડ નોટ મળી
છે તેમાં કોઈ વ્યાજખોરના નામનો ઉલ્લેખ કર્યો નથી. ત્યારે પોલીસે મોબાઈલ ફોનના આધારે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ
શરૂ કર્યો છે. પોલીસ કોલ ડિટેઈલના આધારે અથવા પરિવારના કોઈ સભ્યો કહે કે આ વ્યકિત પાસેથી
રૂપિયા લીધા હતા તો તેને બોલાવીને પોલીસ પૂછપરછ કરી શકે છે અને ગુનો પણ નોંધી શકે છે,
સમગ્ર ઘટનાને લઈ પરિવારમાં શોકનો માહોલ છે.
રાજ્યમાં લોકોને વ્યાજના વિષચક્રમાંથી
મુક્ત કરવા રાજ્ય સરકારે ખાસ ડ્રાઇવ શરૂ કરી હતી. વ્યાજખોરો પર લગામ કસવા ગુજરાત પોલીસે
કડક કાર્યવાહી કરી હતી. અનધિકૃત વ્યાજખોર પોલીસ કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ
સામે ખોટો કેસ ન થાય તેની ખાસ તકેદારી સાથે કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ
પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૂચના આપી હતી.