ગામ નમૂના નંબર-7 બંધ કરવામાં આવશે, ગુજરાત સરકારના મહેસૂલ વિભાગનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,તા.30 : ગુજરાત સરકારના
મહેસૂલ વિભાગ દ્વારા જમીન સંપાદન અને રેકર્ડના આધુનિકીકરણ તરફ એક ઐતિહાસિક અને ક્રાંતિકારી
નિર્ણય લેવામાં આવ્યો છે. 37ના વિગતવાર પરિપત્ર મુજબ, રાજ્યમાં બિનખેતી-એનએ થયેલી જમીનોના
વર્ષો જૂના ’ગામ નમૂના નં.-7’ (7/12 ના ઉતારા) તબક્કાવાર બંધ કરવામાં આવશે અને તેના
સ્થાને પ્રોપર્ટીકાર્ડને જ એકમાત્ર અદ્યતન અને માન્ય દસ્તાવેજ ગણવામાં આવશે.
રાજ્ય સરકારના આ મહત્વકાંક્ષી
પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં મિલકતોના ડબલ રેકર્ડના
કારણે ઉભા થતા વિવાદોનો કાયમી અંત લાવવાનો છે. અત્યાર સુધી બિનખેતી થયેલી જમીનો માટે
ગ્રામ્ય કક્ષાએ 7/12 નો ઉતારો અને સિટી સર્વે કક્ષાએ પ્રોપર્ટીકાર્ડ એમ બંને રેકર્ડ
ચાલુ રહેતા હતા. જેના કારણે ક્ષતિઓ અને વિવાદો સર્જાતા હતા. હવે આ પ્રથા બંધ થશે.
મહેસૂલ વિભાગના આદેશ અનુસાર હવેથી
બિનખેતી થયેલા તમામ સર્વે નંબરોનું પ્રોપર્ટીકાર્ડ સાથે સો ટકા માપિંગ કરવામાં આવશે.
જૂના થઈ ગયેલા કે ક્ષતિવાળા પ્રોપર્ટીકાર્ડને સંપૂર્ણપણે વેરિફાય કરીને જ ગામ નમૂના
નં.-7 બંધ કરવાની મંજૂરી આપવામાં આવશે. જેથી કોઈ કાયદાકીય ગૂંચ ઉભી ન થાય. આ પરિપત્રમાં
37 પાનાની લાંબી માર્ગદર્શિકા સાથે તમામ જિલ્લા કલેક્ટર, સેટલમેન્ટ કમિશનર અને જમીન
દફતર નિયામકોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
જે મુજબ, ગામ નમૂના નં.-7 બંધ
કરતા પહેલાં પ્રોપર્ટીકાર્ડમાં નોંધાયેલી વિગતો, ક્ષેત્રફળ અને હકદારોના નામની સચોટ
ચકાસણી કરવામાં આવશે. માપિંગ પ્રક્રિયા માટે જે સર્વે નંબરોનું હજુ સુધી પ્રોપર્ટીકાર્ડ
બન્યું નથી ત્યાં આ નવીન કાર્ડ બનાવવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરાશે.