• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

જેતપુરમાંથી 5400 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ભરેલું ટેન્કર જપ્ત પોણા ત્રણ લાખ રૂપિયા જેટલી કિંમતના દૂધનો સ્થળ પર જ નાશ કરાયો

(ફૂલછાબ ન્યુઝ)

જેતપુર, તા. 2 :  જૂનાગઢ જિલ્લામાંથી ભેળસેળયુક્ત દૂધ અન્ય વિસ્તારોમાં જતું હોવાની પૂર્વ બાતમીને આધારે રાજકોટ ગ્રામ્ય એલસીબી અને એસઓજી એ સંયુક્ત રીતે એક ટેન્કરને જેતપુર તાલુકા વિસ્તારમાંથી 2.70 લાખ રૂપિયાની કિંમતના 5400 લીટર ભેળસેળ યુક્ત દૂધ સાથે એક શખ્સને ઝડપી શંકાસ્પદ દૂધનો જથ્થો સ્થળ પર જ નાશ કર્યો હતો.

જૂનાગઢથી રાજકોટ જિલ્લા બાજુ શંકાસ્પદ દૂધ ભરેલ ટેન્કર આવતું હોવાની પૂર્વ બાતમીને આધારે પોલીસે જેતપુર તાલુકા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નીકળેલ આઇશર ટેન્કરને પોલીસે અટકાવી દૂધ ભરેલ ટેન્કરની તપાસ કરતા તેમાંથી શંકાસ્પદ

ભેળસેળયુક્ત 2.70 લાખ રૂપિયાની કિંમતના દૂધનો 5400 લીટર જથ્થે મળી આવ્યો હતો. પોલીસે દૂધ લાવનાર શખ્સનું નામ પૂછતાં પોતાનું નામ ભરતભાઈ મામૈયાભાઈ લીંડ (રહે. ખાખરાતળ, તા. થાન, જી. સુરેન્દ્રનગર) હોવાનું જણાવ્યું હતું.

શંકાસ્પદ દૂધનો જથ્થો મળતા ફુડ એન્ડ ડ્રગ્ઝ સેફ્ટી વિભાગને પોલીસ દ્વારા સ્થળ પર બોલાવી સેમ્પલ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ દૂધ ભેળસેળયુક્ત અને માનવ વપરાશ માટે અયોગ્ય હોવાનું જણાયું હતું. પરિણામે, લોકોના આરોગ્ય સાથે ચેડાં અટકાવવા માટે સ્થળ પર જ યોગ્ય ધારા-ધોરણ મુજબ આ શંકાસ્પદ દૂધના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને આરોપી ભરતની ધરપકડ કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક