• મંગળવાર, 10 જૂન, 2025

રાજકોટ સ્થિત પતિના ત્રાસથી રાણાવાવની પરિણીતાનો આપઘાત

રીસામણે બેઠી હતી ત્યારે પતિએ બીજા નિકાહ કર્યાનો વીડિયો ઇન્સ્ટાગ્રામમાં મૂકતા મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નેંધાઈ

પોરબંદર, તા.7: પોરબંદરના રાણાવાવ ગામે રહેતી એક યુવતીના લગ્ન રાજકોટ થયા હતા અને તે રીસામણે આવી ત્યારે તેના પતિએ બીજા નિકાહ કર્યાનો વીડિયો ઇન્સ્ટાગ્રામમાં મૂકતા આપઘાત કરી લીધો હતો. તેથી પુત્રીને મરવા માટે મજબૂર કર્યાની સાસુએ જમાઇ સામે ફરિયાદ નોંધાવી છે. 

રાણાવાવના કસ્બાતી જમાતખાનાપાછળ રહેતા રજાકભાઇ ઇબ્રાહીમ મુલ્લાના પત્ની ખેરુનબેન દ્વારા રાણાવાવ પોલીસમથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છેતે કે તેની પુત્રી મેમુદાના લગ્ન રાજકોટના ભાવનગર રોડ પર રહેતા સમીર સીરાજ જુણેજા સાથે થયા હતા અને એક વર્ષ સુધી સારી રીતે ઘરસંસાર ચાલ્યા પછી સમીરને દારૂનુ વ્યસન થઇ જતા  અતિ દારૂ પીને અવારનવાર ઘરકામ કરવા બાબતે અને શારીરિક માનસિક દુ:ખ ત્રાસ આપતો હતો અને મારકૂટ પણ કરતો હતો. 

તેથી પાંચ છ મહિના પહેલા ફરિયાદી ખેરુનબેનની પુત્રી મેમુદા પીયરીયે રીસામણે આવી હતી અને દીકરીનો ઘરસંસાર બગડે નહી તે માટે જે તે વખતે  સમીર વિરૂધ્ધ કોઇ ફરિયાદ કરી ન હતી.

તા.17-5ના રાત્રે આઠેક વાગ્યે ખેરુનબેન રાજકોટ હતા ત્યારે તેમની દીકરી મેમુદાનો ફોન આવ્યો હતો અને તેણે કહયું કે, ‘મમ્મી, મારા પતિ સમીરે બીજા નિકાહ કરી લીધા છે જેનો વીડિયો મેં અત્યારે ઇન્સ્ટાગ્રામમાં જોયો છે. હવે સમીરે

બીજા લગ્ન કર્યા હોવાથી મારે મરવાનો વારો આવ્યો છે.

હું મરી જઇશ’ આ પ્રકારની દીકરીની વાત સાંભળીને માતાએ પુત્રીને સમજાવી હતી પરંતુ ત્યાર બાદ તા.18-5ના સવારે સાડા દસ વાગ્યે માતા ખેરુનબેન જ્યારે રાજકોટ હતા ત્યારે મેમુદાએ ઝેરી દવા પી લીધી હતી અને ઉલ્ટીઓ કરવા લાગી હતી. બાદમાં સારવાર માટે ભાવાસિંહજી હોસ્પિટલે દાખલ કરી હતી. જામનગર ખાતે સારવાર દરમ્યાન મેમુદાનું મોત થયું હતું. ત્યાર બાદ પુત્રીને મરવા મજબૂર કરનાર જમાઇ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક