કેજરીવાલને હરાવનાર પ્રવેશ વર્મા
ફેવરિટ છતાં ભાજપ ચોંકાવી શકે
નવી દિલ્હી, તા.8 : દિલ્હી વિધાનસભા
ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ મુખ્યમંત્રી કોણ ? તે સવાલ ચર્ચાસ્પદ બન્યો છે. અન્ય
રાજયમાં મોહન યાદવ અને ભજનલાલ શર્માની જેમ ભાજપા નેતૃત્વ દિલ્હીમાં પણ સરપ્રાઈઝ આપે
તેવી સંભાવના છે.
નવી દિલ્હી વિધાનસભા બેઠકથી પૂર્વ
મુખ્યમંત્રી કેજરીવાલને હરાવી પ્રવેશ વર્માએ મુખ્યમંત્રી પદ માટે વણકહ્યો દાવો રજૂ
કરી દીધો છે તેમ છતાં આશ્ચર્ય સર્જવા જાણિતી ભાજપા મુખ્યમંત્રી પદે રેસમાં ન હોય તેવી
લો પ્રોફાઈલ વ્યક્તિને આગળ કરી શકે છે. દિલ્હી માટે ચૂંટણી પહેલા ભાજપાએ મુખ્યમંત્રી
પદે કોઈ નામ જાહેર કર્યુ ન હતુ. સીએમ ચહેરા વિના ચૂંટણી લડી અને હવે બહુમત સાથે સરકાર
રચશે.
દિલ્હીમાં રાજકીય સમીકરણોને સાધીને
મુખ્યમંત્રીની પસંદગી કરાશે કે કોઈ અન્ય જ દાવ ખેલાશે ? તે જોવું રહયું. પ્રવેશ વર્મા
ઉપરાંત વિજેન્દ્ર ગુપ્તા, મનોજ તિવારી જેવા નામ હાલ ચર્ચામાં છે. સામાન્ય રીતે નવી
દિલ્હીની બેઠકને સત્તાનું કેન્દ્ર માનવામાં આવે છે કારણ કે અહીં થી જીતે તે મુખ્યમંત્રી
બનતા આવ્યા છે. શિલા દિક્ષિત અને કેજરીવાલ આ બેઠકથી જ જીતી મુખ્યમંત્રી બન્યા હતા.
આ બેઠક જીત્યા બાદ પ્રવેશ વર્મા સીધા ગૃહમંત્રી શાહને મળવા દોડી ગયા હતા જે સૂચક છે.
-------
ભાજપના વિજયનો વર્તારો: એક્ઝિટ
પોલ્સ સાચા
નવી દિલ્હી, તા. 8 : રાજધાનીની
રાજનીતિના ઈતિહાસે શનિવારે એક મોટો વળાંક લઈ નાખ્યો હતો. સત્તારૂઢ આમ આદમી પાર્ટીને
પરાજય આપી, 27 વર્ષે ભાજપે મહાવિજય મેળવતાં મોટા ભાગના એક્ઝિટ પોલના વર્તારા સાચા પડયા
છે.
મુખ્ય પોલ્સમાંથી ભાજપની 45થી
55 બેઠક પર જીતની ભવિષ્યવાણી કરનાર એક્સિસ- માય ઈન્ડિયાનાં અનુમાનો પરિણામની સાવ નજીક
રહ્યાં છે.
ટુ ડેસ - ચાણક્યના એક્ઝિટ પોલમાં
કેસરિયા પક્ષને 45થી 57, આપને 13થી 25 બેઠક મળવાની આગાહી કરાઈ હતી.
પાછળથી આવેલા બે સર્વેમાં આમ
આદમી પાર્ટીના વિજયનો વર્તારો અપાયો હતો. ચાણક્ય સ્ટ્રેટેજીસના એક્ઝિટ પોલમાં ભાજપ
અને સાથી પક્ષોને 39થી 44 બેઠક પર જીતનું પૂર્વાનુમાન કરાયું હતું.