નવી દિલ્હી, તા. 14 : ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) દ્વારા પટૌડી ટ્રોફીને રિટાયર કરીને આગામી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનું નામ એન્ડરસન-તેંડુલકર ટ્રોફી રાખવાના નિર્ણયને દુનિયાભરમાંથી મિશ્ર પ્રતિક્રિયા મળી છે. બીસીસીઆઈ પાસે આ માટે કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી. બોર્ડના એક અધિકારીના કહેવા પ્રમાણે ઈસીબી નક્કી કરે છે કે તે પોતાની શ્રેણીનું નામ શું રાખવા માગે છે.બીસીસીઆઈની તેમાં કોઈ ભૂમિકા હોતી નથી. જો કે પૂર્વ ભારતીય કેપ્ટન મંસુર અલી ખાન પટૌડીનો વારસો જીવંત રાખવા માટે હવે બીસીસીઆઈએ ઈસીબીને અનુરોધ કર્યો છે. બીસીસીઆઈએ કહ્યું છે કે તે આગામી ટેસ્ટ મેચ શ્રેણીમાં વ્યક્તિગત પ્રદર્શન માટે પોતાના પુરસ્કારમાંથી એકનું નામ પટૌડી ઉપર રાખે. બીસીસીઆઈના એક અધિકારીના કહેવા ઈસીબી જ નક્કી કરે છે કે ટ્રોફીને શું નામ આપવું, બીસીસીઆઈની તેમાં કોઈ ભૂમિકા હોતી નથી કારણ કે આ ઈંગ્લેન્ડની ઘરેલુ શ્રેણી છે.