• શનિવાર, 14 જૂન, 2025

ગોંડલમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને વ્યાજખોરોનો ત્રાસ 8.50 લાખ ચૂકવ્યા છતાં

વધુ 5 લાખની કરી માગણી: બે ચેકમાં રૂ.8.50 લાખની રકમ લખાવી લીધી 

ગોંડલ, તા.13: ગોંડલમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ વ્યાજે લીધેલા રૂ.8.50 લાખ વ્યાજ સહિત ચૂકવી દીધા છતાં બે વ્યાજખોરોએ વધુ રૂ.5 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી કોરા ચેક લખાવી લીધા હતા. આ અંગે બી ડીવીઝન પોલીસમાં બે વ્યાજખોરો સામે ગુનો નોંધાયો હતો. 

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના કપુરિયા ચોકમાં રહેતા અને માર્કાટિંગ યાર્ડ સામે દ્વારકાધીશ ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવતા રાજ ઘેલાભાઈ બાંભવાએ યાજ્ઞિક કડિયા અને નાગજી ગોલતર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, 14 મહિના પહેલા ધંધામાં રૂપિયાની જરૂર પડતા બન્ને શખસો પાસેથી રૂ.8.50 ટકા માસિક 5 ટકા લેખે વ્યાજે લીધા હતા. જેમાં કટકે કટકે વ્યાજ સહિત રૂ.8.50 લાખ ચૂકવી દીધા હતા. 

તેમ છતાં બન્ને શખસે રૂ.5.50 લાખની માંગણી કરી હતી. જે આપવાની ના કહેતા બન્ને શખસો ફરિયાદીના બે ટ્રક લઇ ગયા હતા. બાદમાં પોલીસને અરજી કરતા ટ્રક પાછા આપી ગયા હતા અને ફરીયાદી પાસેથી હાથ ઉછીના રૂપિયા અંગેનું લખાણ અને બે કોરા ચેકમાં રૂ.8.50 લાખની રકમ લખાવી લીધી હતી, આ અંગેની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી બન્ને શખસને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક