ક્રૂડતેલ 8.84 ટકા મોંઘું થયું : જો કે, સસ્તું થયું હતું ત્યારે પેટ્રોલ ભાવ ઘટયા નહોતા
નવી
દિલ્હી, તા. 13 : ઇરાનનાં પરમાણુ ઠેકાણાંઓ પર ઇઝરાયલના ઘાતક હુમલાથી દુનિયાની બજારોમાં
અફરાતફરી મચી ગઇ છે. આ યુદ્ધનાં કારણે પેટ્રોલ મોંઘું બની શકે છે. યુદ્ધથી સર્જાયેલી
વિકટ સ્થિતિ વચ્ચે એ સવાલ પણ ઊઠી રહ્યો છે કે, ક્રૂડતેલના વૈશ્વિક ભાવો ઘટયા હતા, ત્યારે
પેટ્રોલમાં ભાવ ઘટાડાનો લાભ લોકોને મળ્યો નહોતો. હવે ક્રૂડતેલના ભાવ વધે, ત્યારે શું
નિર્ણય લેવાય છે, તે જોવું રહ્યું. ઇરાન પર યુદ્ધથી ઓપેકના દેશોમાંથી નિકાસમૂલ્ય વધી
શકે છે. તેની અસર ભારત પર પડી શકે છે, તેવું જાણકારો કહે છે.ભારત સહિત દુનિયાની શેરબજારો
પર આ યુદ્ધની ખરાબ અસર પડવા માંડી છે. રોકાણકારો સુરક્ષિત રોકાણની તલાશમાં પોતાના પૈસા
ઉપાડવા માંડયા છે.સાંપ્રત સ્થિતિની સીધી અસર એકવાર ફરી સોનાં અને ડોલરમાં ગતિભેર રોકાણનાં
રૂપમાં દેખાઇ શકે છે. આ ભીષણ યુદ્ધથી ઇરાનના તેલના કૂવાઓને પણ નુકસાન થવાની ભીતિ છે,
એ જોતાં આ યુદ્ધ જલ્દી ખતમ થાય તે જ વિશ્વનાં હિતમાં છે.