શ્રીનગર, તા.22: કાશ્મીરમાં કમર તૂટી ગયા પછી આતંકવાદીઓ અને સરહદ પાર બેઠેલા તેના આકાઓ મૂંઝવણમાં છે. ગત મહિને જ હંદવાડામાં પાકિસ્તાની આતંકી સૈફુલ્લાને મારવામાં આવ્યો હતો. જેના હિસાબે હવે આતંકવાદીઓ પ્રવાસીઓને નિશાન બનાવીને ભય ફેલાવવા માગે છે. આ હુમલાનો સમય અને સ્થાનની પસંદગી પણ આ વાતની પુષ્ટિ કરે છે. આતંકવાદીઓએ જુલાઈમાં શરૂ થનારી અમરનાથ યાત્રા પહેલા પહલગામમાં હુમલો કરીને ભય પેદા કરવાનો પ્રયાસ કર્યો છે. આ પહેલીવાર નથી જ્યારે આતંકવાદીઓએ પર્યટકો કે યાત્રાળુઓને નિશાન બનાવ્યા હોય.
કાશ્મીરની અર્થવ્યવસ્થાનો મોટો
ભાગ પર્યટન પર નિર્ભર છે જ્યારે આતંકવાદીઓ પર્યટકોને નિશાન બનાવે છે, ત્યારે તે સૌથી
પહેલા બહારના લોકોને ડરાવે છે. જેનાં હિસાબે હોટેલ, ટેક્સી, ગાઇડ જેવા રોજગાર સાથે
જોડાયેલા હજારો લોકોની આજીવિકા પર પણ અસર પડે છે. અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ ભારતનાં
પ્રવાસે આવેલા છે ત્યારે જ સરહદ પારના આતંકવાદી સંગઠનોનો ઉદ્દેશ્ય કાશ્મીરને અશાંત
કરવાનો હોય તેવું લાગે છે. જો પ્રવાસીઓમાં ભય પેદા થાય તો કાશ્મીરમાં અસ્થિરતા પણ સર્જી
શકાય તેવા ઈરાદાથી આ હુમલો કરાયો હોવાનું તારણ છે.
પ્રવાસીઓ પર હુમલો કરીને આતંકવાદી
કાવતરા હેઠળ એ સંદેશ આપવા માગે છે કે કાશ્મીર હજુ પણ લોકો માટે સુરક્ષિત નથી. આતંકવાદીઓને
ઉછેરનાર પાકિસ્તાન મોટા મંચો પર ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરે છે. કાશ્મીર ખીણના
સ્થાનિક લોકોને પ્રવાસનથી મોટી રોજગારી મળે છે. જે પાકિસ્તાન અને તેના પાલક આતંકવાદી
સંગઠનોને પસંદ નથી. આતંકવાદીઓ નથી ઇચ્છતા કે સ્થાનિક લોકો ભારત સરકાર સાથે જોડાયેલા
હોય.