ભત્રીજા
રોહિત પવારે કાકાના મૃત્યુ અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા
મુંબઈ
તા.11 : મહારાષ્ટ્રના દિવંગત નાયબ મુખ્યમંત્રી અજિત પવારની વિમાન દુર્ઘટનાને તેમના
ભત્રીજાએ કાવતરું ગણાવીને ગંભીર સવાલ ઉઠાવ્યા છે.
વહીવટીતંત્ર
વિમાન અકસ્માતમાં અજિત પવારના મૃત્યુને અકસ્માત ગણી રહ્યું છે. અજિત પવારના કાકા અને
દિગ્ગજ નેતા શરદ પવારે પણ તેને અકસ્માત જાહેર કર્યો હતો પરંતુ હવે પરિવારના એક મુખ્ય
સભ્ય રોહિત પવારે સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે આ ઘટના એક કાવતરું હતું જેને
સંપૂર્ણપણે અકસ્માત તરીકે છુપાવવામાં આવ્યું છે.
મીડિયા સાથે વાત કરતા રોહિત પવારે વિમાન ચલાવતી કંપની વીએસઆર પર સવાલ ઉઠાવ્યા
કે અજિત પવાર જ્યારે રોડ માર્ગે બારામતી જવાના હતા ત્યારે છેલ્લી ઘડીએ યોજના કેમ બદલી
નાખવામાં આવી ? તેમણે વીએસઆરને ભાડે રાખનારી એરો કંપની પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું
કે મારું દ્રઢપણે માનવું છે કે આ ઘટના અકસ્માત નહીં પણ એક કાવતરું હતું. ક્રેશ પહેલા
ટ્રાન્સપોન્ડર કેવી રીતે બંધ કરવામાં આવ્યું ? જે રનવે પર વિમાન ઉતર્યું તે ખરાબ સ્થિતિમાં
હતો છતાં વિમાનને ઉતરવાનો પ્રયાસ કેમ કરવામાં આવ્યો? શું પાઇલટ ઝોકું ખાઈ ગયો કે બીજું
કંઈક થયું? વિમાન ધ્રુજતું હતું અને એક દિશામાં ઝુકતું હતું ત્યારે પાઇલટ્સે કાર્યવાહી
કેમ ન કરી? વિઝિબિલિટી ઓછી હતી છતાં વિમાન કેમ ઉડાડાયું ? જે સિનિયર પાયલટને વિમાન
ઉડાડવાનું હતું તે કેમ ન આવ્યો ?