ઈરાનના વિદેશ મંત્રીની હાજરીમાં જયશંકરે આપી સલાહ
નવી દિલ્હી, તા. 15 : ઈરાન અને
અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે સાફ કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ અને રેડ
સી જેવા આંતરરાષ્ટ્રીય સમુદ્રી રસ્તા સુરક્ષિત અને કોઈપણ અડચણ વિના ખુલ્લા રહેવા દુનિયાના
આર્થિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. દિલ્હીમાં બ્રિક્સ દેશોના વિદેશી મંત્રીઓની
બેઠકમાં જયશંકરે આ વાત એવા સમયે કરી છે જ્યારે
ઈરાન અને ખાડી દેશો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે અને ઓઈલ સપ્લાય ઉપર જોખમ છે. બેઠકમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને યુએઈના
વિદેશ રાજ્યમંત્રી ખલીફા શાહીન અલ મરાર હાજર હતા. જયશંકરે કહ્યું હતું કે સ્થિરતા પસંદગી
મુજબ ન હોઇ શકે અને શાંતિ ટુકડે ટુકડે લાવી શકાય નહી. તેમણે સાફ સંકેત આપ્યો હતો કે
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું સંકટ ક્ષેત્રીય નહી પણ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે પણ જોખમી
બન્યું છે. જયશંકરે ઉર્જા સંકટ, સમુદ્રી વ્યાપારમાં અડચણ અને એકતરફી પ્રતિબંધોનો મુદ્દો
પણ ઉઠાવ્યો હતો.