4 અઠવાડિયા ચાલશે : બે તૃતિયાંશ બહુમતની નજીક પહોંચેલી સરકાર અનેક મહત્ત્વનાં વિધેયકો લાવવા ઉપર જોર રાખશે
નવીદિલ્હી,તા.3:
સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થવાની શક્યતા છે. જે 13 ઓગસ્ટ સુધી ચાલશે. ચાર
અઠવાડિયા ચાલનારા આ સત્રમાં 19 બેઠકો યોજાશે. તૃણમૂલ કોંગ્રેસમાં ભંગાણ, શિવસેના યુટીબીમાંથી
સાંસદોની બગાવત, ઈન્ડિયા બ્લોકમાંથી ડીએમકે અલગ થઈ ગયાની અસર સંસદનાં આ ચોમાસું સત્રની
બેઠક વ્યવસ્થામાં જોવા મળશે. સંસદનું સત્ર શરૂ થયા પહેલા લોકસભા સ્પીકર તૃણમૂલનાં
20 બાગી સાંસદોનાં એનસીપીઆઈમાં વિલય ઉપર પોતાનો નિર્ણય પણ આપશે. આવી જ રીતે શિવસેના
યુટીબીનાં છ સાંસદોનાં શિવસેના શિંદેમાં વિલય ઉપર પણ તેમનો ફેંસલો આવશે.
ડીએમકે
અને તૃણમૂલનાં વિદ્રોહી સાંસદોને લોકસભામાં વિપક્ષથી અલગ બેસાડવા અંગે પણ નિર્ણય કરવામાં
આવશે. તો બીજીબાજુ બે તૃતિયાંશ બહુમતની નજીક પહોંચી ગયેલી એનડીએ સરકાર મહત્વનાં વિધેયકોને
સંસદનાં આ સત્રમાં લાવવા ઉપર જોર રાખશે. આ ઉપરાંત સરકાર બે મહત્વનાં સંવિધાન સુધારા
વિધેયક પણ લાવે તેવી શક્યતા છે. આ સિવાય સરકાર મહિલા આરક્ષણ અને સીમાંકન સાથે જોડાયેલા
બિલ પણ લાવી શકે છે. આ મુદ્દે સંસદમાં શાસક અને વિપક્ષ વચ્ચે વધુ એકવાર ઘમસાણ જોવા
મળશે તે લગભગ નિશ્ચિત છે. આ ઉપરાંત સરકાર એક દેશ એક ચૂંટણી ખરડો પસાર કરાવવા માટે પણ
ભાર મૂકી શકે છે. આ સિવાય એફસીઆરએ બિલ, વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન ખરડો, એન્ટી ડોપિંગ
બિલ પણ ચોમાસું સત્રમાં લાવવામાં આવી શકે છે.