સિનિયર
સીટીઝન અને યુવાનોનું 20 લોકોનું ગ્રુપ 15 દિવસના પ્રવાસે ગયું હતું
ભાવનગર,
તા.23 : જમ્મુ-કાશ્મીરની ઘરતી ઉપર હિન્દુ પર્યટકોને નિશાન બનાવી થયેલા આતંકવાદી હુમલામાં
ભાવનગરના કાળિયા ભીલ વિસ્તારમાં રહેતા પિતા- પુત્રના મૃત્યુ નિપજ્યા છે. પરમાર પરિવારના
પિતા- પુત્ર ની અંતિમ યાત્રા સવારે 8 વાગે તેમના કાળિયાબીડ નંદનવન સોસાયટી ખાતેના નિવાસ્થાનેથી
નીકળશે. ઉપરાંત ભાવનગરના એક પર્યટકને હાથની કોણીના ભાગે ગોળી વાગી જતાં સારવારાર્થે
અનંતનાગની સરકારી મેડિકલ કોલેજમાં ખસેડાયા હતા. આતંકી હુમલામાં ભાવનગરના પર્યટકો પણ
ઘાયલ થયાની જાણ થતાં ભાવનગર જિલ્લા કલેક્ટર-પોલીસ તંત્રે તુરંત હરકતમાં આવી ઈજાગ્રસ્ત
અને ગુમસુદાના પરિવારજનો તેમજ જમ્મુ કાશ્મીર તંત્રના સતત સંપર્કમાં રહી સ્થિતિનો તાગ
મેળવ્યો હતો.
પ્રાપ્ત
થતી માહિતી મુજબ જમ્મુ અને કાશ્મીરના પહેલગામના બૈસરંગ વિસ્તારમાં ગઈકાલે મંગળવારે
બપોરના સમયે મોટો આતંકવાદી હુમલો થયો હતો. જેમાં અંધાધૂંધ ગોળીબારીમાં 20થી વધુ પર્યટકોના
મોત અને 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં
રહેતા યશિતભાઈ પરમાર અને તેના પુત્ર સ્મિત પરમારનું મૃત્યુ નિપજ્યું છે અને ભાવનગર
શહેરના નવા ભરતનગર પોલીસ સ્ટેશન પાછળ આવેલી જીએમડીસી કોલોની, મુખ્યમંત્રી આવાસ યોજનાની
શેત્રુંજી રેસીડેન્સી, પહેલા માળે, ઈ-104માં રહેતા વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાભી (ઉં.વ.62)ને
હાથની કોણીના ભાગેથી ગોળી વાગીને નીકળી જતાં તેમને લોહિયાળ હાલતમાં સારવાર માટે અનંતનાગ
ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ભાવનગર જિલ્લા
કલેક્ટર ડો.મનીષકુમાર બંસલનો સંપર્ક સાધતા તેમણે આતંકવાદી હુમલામાં ભાવનગરના પ્રવાસીને
ઈજા થતાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હોવાની ઘટનાને સમર્થન આપતા ઉમેર્યું હતું કે,
જમ્મુ-કાશ્મીરના વહીવટી તંત્ર, સ્થાનિક પોલીસ વગેરે સાથે સ્થાનિક તંત્ર સતત સંપર્કમાં
છે.
બીજી
તરફ ઈજાગ્રસ્ત વિનુભાઈ ડાભીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ભાવનગર અને પાલિતાણાથી
સિનિયર સિટીઝન અને યુવાનોનું 20 લોકોનું ગ્રુપ ગત તા.16મી એપ્રિલના રોજ 15 દિવસના પ્રવાસે
જવા નીકળ્યું હતું. પ્રવાસીઓ ભાવનગરથી સુરેન્દ્રનગર ગયા હતા અને ત્યાંથી જમ્મુતાવી
કટરા ટ્રેનમાં બેસી શ્રીનગર ખાતે આયોજીત મોરારિબાપુની ભાગવદ્ સપ્તાહમાં પહોંચ્યા હતા
ત્યાંથી પહેલગામ ફરવા માટે જતાં અચાનક આતંકી હુમલો થયો હતો.
આતંકી
હુમલાના બનાવને ભાજપ અને કોંગ્રેસ દ્વારા વખોડી કાઢવામાં આવ્યો છે. રાજકીય પક્ષો દ્વારા
મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપી આ બનાવ અંગે ઝડપી કાર્યવાહી કરવા લાગણી વ્યક્ત કરવામાં
આવી છે.
સીઆરપીએફ
અને પોલીસ સાથે વાતચીત શરૂ : આઈજી
આતંકવાદી
હુમલામાં ભાવનગરના પર્યટક વિનુભાઈ ડાભીને ઈજા થયાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓનો
કાફલો, મેયર, ચેરમેન, ભાજપના ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ ઈજાગ્રસ્તના ઘરે ભરતનગર પહોંચ્યા
હતા જ્યાં ત્યાંની પરિસ્થિતિ અંગે પરિવારજનોને વાકેફ કરી કોઈ ચિંતા ન કરવા આશ્વાસન
આપ્યું હતું. ઈજાગ્રસ્તના પરિવારજનોની મુલાકાતે આવેલા ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે
માહિતી આપતા જણાવ્યું હતું કે, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન ડાભીના પિતા વિનુભાઈ ડાભીને
આતંકવાદી હુમલામાં સામાન્ય ઈજા થઈ છે. તેમની સ્થિતિ સારી છે. વાતચીત કરી માહિતી મેળવી
રહ્યા છે સમગ્ર મામલે તેઓ સીઆરપીએફ, જમ્મુ કાશ્મીર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સતત
વાતચીત કરી માહિતી મેળવવી રહ્યા છે.
મૃતક
યતિશભાઈ સલૂનની દુકાન ચલાવતા હતા
કાશ્મીરમાં
આંતકવાદી હુમલામાં મૃત્યુપામેલા ભાવનગર શહેરના વાળંદ પરિવારના પિતા પુત્રના નિવાસસ્થાને
સવારથીજ સમાજના લોકો અને આગેવાનો, રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. મૃતક
યતીશભાઇ પરમાર (ઉં.વ.45) કાળિયાબીડ વિસ્તારમાં કોલેજિયન હેર આર્ટ નામની હેર સલૂન ચલાવતા
હતા, જ્યારે એમનો 17 વર્ષીય પુત્ર સ્મિત 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. ભાવગરના મૃતક
પિતા-પુત્રના મૃતદેહને વતનમાં લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પરિવારજનોના આક્રંદથી
વાતાવરણ ગમગીની બની ગયું હતું.