• રવિવાર, 15 જૂન, 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બ્લેકઆઉટ યથાવત્, જામનગરમાં હટાવી લેવાયું

જામનગરમાં જરૂરિયાત જણાશે તો બ્લેકઆઉટ અંગે તાત્કાલિક નિર્ણય લેવાશે : અધિક કલેક્ટર

 

જામનગર, દ્વારકા,તા.11 : ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્વ જેવી પરીસ્થિતિ વચ્ચે શનિવારે દેવભૂમિ દ્વારકા વહીવટી તંત્ર દ્વારા બ્લેકઆઉટનો નિર્ણય લેવાયો હતો. સાંજે ભારત-પાકીસ્તાન વચ્ચે સીઝફાયરનો નિર્ણય પણ જાહેર કરાયો હતો. જે દરમિયાન રાત્રે ફરી પાકિસ્તાની સેના દ્વારા સીઝ ફાયરનુ ઉલ્લઘંન કરાયાના અહેવાલ સામે આવતા સર્તકતાના ભાગરૂપે બ્લેકઆઉટ રાખવામાં આવ્યુ હતુ. જે અવન્યે આજે પણ દ્વારકા જગત મંદિર આસપાસના વિસ્તારોમાં બ્લેક આઉટ યથાવત્ત રાખવામાં આવ્યું હતુ. બીજી તરફ જામનગર જિલ્લામાં આજે બ્લેકઆઉટ ન હોવાની જાહેરાત અધિક નિવાસી કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી.

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું છે કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા જામનગર જિલ્લામાં આજે તા.11ના રોજ કોઈપણ પ્રકારનું બ્લેકઆઉટ જાહેર કરવામાં આવતું નથી. પરિસ્થિતિનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જો આજે કોઈપણ પ્રકારની જરૂરિયાત જણાશે તો બ્લેકઆઉટ અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં આવશે અને તેની નાગરિકોને જાણકારી આપવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાગરિકો, ઔદ્યોગીક એકમો તેમજ વિવિધ સંસ્થાઓને પ્રવર્તમાન પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા સંભવિત આકસ્મિક આપત્તિને પહોંચી વળવા આગામી સૂચના ન મળે ત્યાં સુધી જિલ્લામાં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી બ્લેકઆઉટની અમલવારી કરવા તેમજ જિલ્લા વહીવટી તંત્ર તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવે છે. આ સાથે ઈન્વર્ટર અને જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. દ્વારકા વેપારી મંડળે પણ વેપારીઓને રાત્રે 8 વાગ્યા પછી સ્વૈચ્છિક રીતે ધંધા-રોજગાર બંધ રાખવા અપીલ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજુલા પંથકની સગીરા ઉપર દુષ્કર્મ June 15, Sun, 2025