નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત, 1 લાખ પ્રેક્ષકો માટે પોલીસનું સુરક્ષા કવચ તૈયાર
(અમારા
પ્રતિનિધિ તરફથી): અમદાવાદ, તા.6: અમદાવાદમાં તા.8ને રવિવારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ
સ્ટેડિયમ ગણાતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મુકાબલો
રમાનાર છે. જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ મહામુકાબલા પહેલા ભવ્ય ક્લાઝિંગ સેરેમની
અને મેગા કલ્ચરલ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ-વિદેશના જાણીતા ગાયકો પ્રદર્શન
કરશે. આ ભવ્ય કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક અરિજીત સિંહ, ગુજરાતની લોકપ્રિય ગાયિકા ફાલ્ગુની
પાઠક અને આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિકી માર્ટિન પરફોર્મન્સ આપશે. અંદાજે 1.25 લાખથી
વધુ પ્રેક્ષકોની હાજરીમાં યોજાનાર આ કાર્યક્રમ ટી20 વર્લ્ડ કપના સમાપનને યાદગાર બનાવશે.
સંગીત, લાઈટિંગ અને ભવ્ય સ્ટેજ શો સાથે ક્રિકેટ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે.
અમદાવાદના
આંગણે ફરી એકવાર ક્રિકેટનો મહાકુંભ રમવા જઈ રહ્યો છે, ત્યારે ટી20 વર્લ્ડકપની હાઈવોલ્ટેજ
મેચને લઈને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ
પ્રેક્ષકો ઉમટવાના છે, ત્યારે આતંકી ગતિવિધિ અને ભીડમાં ભાગદોડ ન સર્જાય તે માટે પોલીસે
અભેદ કિલ્લો તૈયાર કર્યો છે. મેચ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 3 લેયરમાં
ચાકિંગ કરવામાં આવશે. સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં 200 જેટલા સીસીટીવી કેમેરા અને
ડ્રોન સર્વેલન્સ દ્વારા બાજ નજર રાખવામાં આવશે. ભીડને નિયંત્રિત કરવા માટે સ્ટેડિયમની
બહાર દર 00-100 મીટર પર બેરિકાટિંગ કરવામાં આવ્યું છે. તેમજ મેચ જોવા આવતા રમતપ્રેમીઓ
માટે 20 હજાર વાહનો પાર્ક કરી શકાય તેવી વિશાળ પાર્કિંગ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી
છે.
પોલીસે
પ્રેક્ષકો માટે કડક ગાઈડલાઈન પણ જાહેર કરી છે. સ્ટેડિયમમાં બેનર્સ, પાણીની બોટલ કે
ફેંકી શકાય તેવી કોઈ પણ વસ્તુ લઈ જવા પર સખત મનાઈ છે. ચાહકો માત્ર કાપડનો બનેલો ભારતનો
ઝંડો પોતાની સાથે લઈ જઈ શકશે. અમદાવાદમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને દર્શકોને કોઈ
મુશ્કેલી ન પડે તે માટે સ્ટેડિયમના પોડિયમ વિસ્તારમાં વધારાના 30 પાણીના કાઉન્ટર ઉભા
કરવામાં આવ્યા છે. સ્ટેડિયમના પોડિયમ વિસ્તારમાં 6 મેડિકલ સ્ટોલ બનાવવામાં આવ્યા છે,
જ્યાં ડોક્ટરો અને તબીબી સ્ટાફ સતત હાજર રહેશે. ઉપરાંત, આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી
વળવા માટે 2 ટેમ્પરરી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.
ક્રિકેટ
પ્રેમીઓ માટે આ ફાઈનલ માત્ર રમતનો મુકાબલો નથી પરંતુ એક ભવ્ય ઉત્સવ બની રહેશે. સંગીત,
સંસ્કૃતિ અને ક્રિકેટનો મહાસંગમ બનનારી આ રાત સાથે ટી20 વર્લ્ડ કપનું અમદાવાદમાં ભવ્ય
સમાપન થવાનું છે. સ્ટેડિયમમાં ઠેર ઠેર ડિજીટલ ક્રીન લગાવાયા છે. મુખ્ય દરવાજાથી પ્રવેશથી
લઇ સ્ટેડીયમ એન્ટ્રી સુધી ડિજીટલ ક્રીન થશે.