ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં જહાજો ઉપર હુમલા અંગે ચિંતા વ્યક્ત થઈ
નવી
દિલ્હી, તા. 20 : ઈરાન યુદ્ધ વચ્ચે જે રીતે જહાજોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેના
ઉપર ભારત દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. લંડનમાં આયોજીત ઈન્ટરનેશનલ મેરિટાઈમ
ઓર્ગેનાઈઝેશન (આઈએમઓ) પરિષદની બેઠકમાં યૂકેમાં ભારતના રાજદૂત વિક્રમ દોરાઈસ્વામીએ સ્પષ્ટ
કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય જળ માર્ગે જહાજોને નિશાન બનાવવા કોઈપણ સ્થિતિમાં સહન
કરવામાં આવશે નહી. ભારતને આ વાતની ચિંતા છે કે સમુદ્રમાં હવે વ્યાપારિક જહાજો સુરક્ષિત
નથી. જ્યારે પણ યુદ્ધ થાય છે ત્યારે સૌથી વધારે પરેશાન સામાન્ય લોકો થાય છે. સામાન્ય
લોકોને જ નિશાન બનાવવામાં આવે છે જે યોગ્ય નથી.
વિક્રમ
દોરાઈસ્વામીએ કહ્યું હતું કે, જેટલી જલ્દી બને યુદ્ધ બંધ થવું જોઈએ. ત્રણ ભારતીયોના
જીવ જવાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે વ્યાપારિક જહાજો કે પછી સિવિલયન મેરિટાઈમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને
નિશાન બનાવવા અનૈતિક છે. યુદ્ધના કારણે વધતી ઊર્જા કિંમત મુદ્દે બ્રસેલ્સમાં થયેલી યુરોપીય સંઘના નેતાઓની
બેઠકમાં પણ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા અને પશ્ચિમ એશિયામાં જળ અને ઉર્જા સંરચના ઉપરના હુમલા રોકવાની માગણી કરવામાં આવી હતી.
ભારતીય રાજદૂતે ચિંતા વ્યક્ત કરી હતી કે પુરી દુનિયામાં લગભગ 13 ટકા નાવિક ભારતીય છે.
તેવામાં યુદ્ધમાં જે રીતે જહાજોને નિશાન બનાવવામાં આવે છે તેનાથી ભારતીય નાવિકોનો જીવ
જોખમમાં છે. આઈએમઓ કાઉન્સીલે પણ ઈરાનના હુમલાની નિંદા કરતા આવી પ્રવૃત્તિ રોકવાની વાત
કરી હતી. આ બેઠકમાં લગભગ 120 દેશના પ્રતિનિધિ સામેલ થયા હતા.