બાળકોમાં મેદસ્વીતાને રોકવા માટે પાંચ સૂત્રનો પ્લાન આપ્યો
નવી
દિલ્હી, તા. 25 : ચિપ્સ, બર્ગર, કોલ્ડ ડ્રિંક્સ અને પેક્ડ નાસ્તાના શોખીન લોકોને ઝટકો
લાગી શકે છે, કારણ કે આ વસ્તુઓ મોંઘી થવાની સંભાવના છે. દેશમાં બાળકોમાં ઝડપથી વધી
રહેલી મેદસ્વીતા અને ડાયાબિટીસને રોકવા માટે આઈસીએમઆર-રાષ્ટ્રીય પોષણ સંસ્થાને જંક
ફૂડ ઉપર વિશેષ સ્વાસ્થ્ય કર લાદવાનો પ્રસ્તાવ આપ્યો છે.
નીતિ
આયોગના સભ્ય ડો. એમ શ્રીનિવાસના રિપોર્ટ અનુસાર ભારતમાં વર્તમાન સમયે 4.1 કરોડ બાળકો
મેદસ્વીપણાનો સામનો કરી રહ્યા છે. અનુમાન છે કે આગામી અમુક વર્ષ બાદ દુનિયાના 11 ટકા
મેદસ્વી બાળકો ભારતમાં હશે. આ સ્થિતિને રોકવા માટે આઈસીએમઆરએ પાંચ સૂત્રની યોજના જાહેર
કરી છે. જેની સીધી અસર એફએમસીજી અને ફૂડ કંપનીઓ ઉપર પડી શકે છે.
આઈસીએમએઆરએ
યોજના રજૂ કરી છે. જેના અનુસાર તમાકુ અને દારૂની જેમ ફેટ, નમક અને સુગર ધરાવતા સામાન
ઉપર ટેક્સ વધશે. જેનો હેતુ જંક ફૂડ મોંઘું કરવાનો અને સ્વસ્થ ભોજન સસ્તું કરવાનો છે.
આ ઉપરાંત કાર્ટૂન કેરેક્ટર અને ભ્રામક ટેગ ધરાવતા વિજ્ઞાપનો ઉપર સખત પ્રતિબંધ, દરેક
પેકેટ ઉપર મોટા અક્ષરમાં શુગર, ફેટ અને નમકની માત્રા લખવી જરૂરી, શાળા અને તેની આસપાસ
જંક ફૂડ વેચવા ઉપર પ્રતિબંધ મુકાશે. વધુમાં આ તમામ પગલા આયુષ્માન ભારત - સ્કુલ હેલ્થ
એન્ડ વેલનેસ પ્રોગ્રામ સાથે જોડવામાં આવશે.
જાગૃતતા
માટે ખાસ કોમિક બુક અને ડિજીટલ પ્લેટફોર્મ બનાવવામાં આવશે. જેમાં બાળકોને મજેદાર રીતથી
બતાવવામાં આવશે કે સ્નેક્સમાં કેટલું સોડિયમ અને ફેટ હોય છે. યુનિસેફ, ડબલ્યુએચઓ અને
એફએસએસએઆઈની ભાગીદારીના આ પ્લાનને લાગુ કરવામાં આવ્યા બાદ ફૂડ કંપનીઓએ પોતાની કિંમત,
પેકેજિંગ અને માર્કેટિંગમાં મોટો બદલાવ કરવો પડશે.