• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

અરે આ શું બોલ્યાં દીદી !

મુખ્યમંત્રી અને તે પણ મહિલા! છતાં આવું નિવેદન? આશ્ચર્યની સાથે દુ:ખ પણ થાય અને શરમ પણ આવે. વાત પશ્ચિમ બંગાળની છે. દુર્ગાપુરમાં મેડિકલ કોલેજની એક વિદ્યાર્થિની ઉપર સામૂહિક બળાત્કાર થયો, મુખ્યપ્રધાન બોલ્યાં: રાત્રે સાડા બાર વાગે યુવતી કોલેજ પરિસરની બહાર કેવી રીતે આવી?  અરે, રાજ્યના મુખિયા તરીકે આવું નિવેદન? જેમના ઉપર બળાત્કાર થયો છે તેમને રક્ષણ આપવાને બદલે તેઓ જ આરોપી હોય, અપરાધી હોય તેવો ભાવ તેમના મનમાં ઉત્પન્ન થાય. ત્રીની સામાજિક- શારીરિક સલામતીની ખાતરી આપવાને બદલે, દુષ્કર્મ જેવી ઘટનાઓમાં સંડોવાયેલા તત્વોને સજા કરવાની વાત કરવાને બદલે દીદીએ એવું કહ્યું કે યુવતીઓએ રાત્રે બહાર ન નીકળાય.

બંગાળના મુખ્યમંત્રી ઉપરાંત ગૃહમંત્રી પણ છે તેવા મમતા બેનર્જીને ગુજરાતની સ્થિતિનો કદાચ ખ્યાલ નથી. અહીં નવરાત્રિ પર્વ કે જાગરણના દિવસોમાં અને તે સિવાય પણ મોડી રાત્રે યુવતી એકલી પોતાના ઘરે જાય તો પણ તે મોટા ભાગે સલામત છે. બંગાળમાં દુષ્કર્મ નવાઈની વાત નથી. પરંતુ આ નિવેદન ચોક્કસ અચંબો પમાડે તેવું છે. મમતાબહેન એવું બોલ્યાં કે યુવતીઓએ રાત્રે બહાર નીકળવું જોઈએ નહીં, આ એઆઈ યુગમાં, 2025માં આવું નિવેદન? શીખ કે શિક્ષા કોને હોય? બળાત્કાર કરનારને કે ભોગ બનનારને? શું રાજ્ય પ્રશાસન, પોલીસ એટલી સક્ષમ નથી કે રાત્રે પણ યુવતી-મહિલાને રક્ષણ આપી શકે! સ્વયં મુખ્યમંત્રી જો આવું કહે તો તો અપરાધી તત્વોનો જુસ્સો બેવડાય. કદાચ કોઈ ઘટના- દુર્ઘટના રોકવામાં સરકાર સફળ ન રહી પરંતુ જ્યારે કંઈ બની ગયું છે ત્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે તેમણે પીડિતા અને તેના સ્વજનોના પક્ષે ઊભા રહેવું જોઈએ. તેને બદલે રાત્રે બહાર નીકળવું તે કોઈ મોટો અપરાધ હોય તેવું આ નિવેદન તેમણે કર્યું.

કોલકત્તાના પાર્ક સ્ટ્રીટ સામૂહિક દુષ્કર્મની ઘટનાને તેમણે રાજ્ય સરકાર વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું હતું. ગત વર્ષે આરજી કર મેડિકલ કોલેજની વિદ્યાર્થિની ઉપર થયેલા બળાત્કારના પડઘા દેશ આખામાં પડયા હતા પરંતુ ઢાંક પીછોડાનો પ્રયાસ તો ત્યાં પણ થયો હતો. આખરે તપાસ સીબીઆઈને સોંપવામાં આવી. બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચર્ચાસ્પદ જ છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે શિક્ષણ સંસ્થાઓમાં બળાત્કારની ઘટના વારંવાર બને છે. આરજી કર મેડિકલ કોલેજની ઘટના પછી લો કોલેજમાં આ ઘટના બની હતી. તે પછી ‘આઈઆઈએમ’માં પણ આવી ઘટના બન્યાનું જાહેર થયું હતું. મહિલા સુરક્ષાની સ્થિતિ સામે આ ઘટનાઓ મોટા સવાલ ઊભા કરી રહી છે.

બનાવ તો અન્ય રાજ્યોમાં પણ બને છે પરંતુ અહીં વાત એ છે કે મુખ્યમંત્રી સ્વયં આવા બનાવોમાં અપરાધીઓ અને અપરાધ સામે કઠોર વલણ અપનાવવાને બદલે આવાં નિવેદન કરે છે. કોઈ પણ નેતા આજના સમયમાં બળાત્કાર જેવી ઘટના વખતે આવું કહે કે ધ્યાન તો યુવતીએ રાખવું જોઈએ, તેણે ટૂંકા વત્રો પહેરવા જોઈએ નહીં, રાત્રે બહાર નીકળવું જોઈએ નહીં આ તેમની સંકુચિત માનસિકતાનું પ્રતિબિંબ છે. તેમાં પણ વળી મમતાબહેન સ્વયં મહિલા છે. તેમના મોઢે આવી વાત શોભતી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક