• મંગળવાર, 27 જાન્યુઆરી, 2026

અમદાવાદના અસલાલીમાં 6 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા દસ વર્ષથી કરતા હતા વસવાટ, સતખીરા સરહદથી ઘૂસ્યા હોવાની કબૂલાત

અમદાવાદ, તા.25: અમદાવાદમાં અસલાલી પોલીસે નાજ ગામની સીમમાંથી ગેરકાયદે રીતે રહેતા 6 બાંગ્લાદેશી નાગરીકોને ઝડપી પાડયા છે. પકડાયેલા શખસોમાં 3 બાળકો અને 3 પુખ્ત વયના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ તમામ શખસો કોઈપણ માન્ય આધાર પુરાવા વગર ભારતીય સરહદમાં ઘુસણખોરી કરી છેલ્લા દસ વર્ષથી અમદાવાદમાં વસવાટ કરી રહ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોના અનુસાર અસલાલી પોલીસની ટીમ જ્યારે બારેજાના નાજ ગામમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે વાડી વિસ્તારમાં આવેલ જલ્પેશ દેસાઈના બોર પર રહેતા કેટલાક વ્યક્તિઓની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી.

પોલીસે તપાસ કરતા ત્યાંથી કાલોન સોલેમાન મોલ્લા, મોહમ્મદ અરાફત મોલ્લા અને રીબાખાતુન મોલ્લા મળી આવ્યા હતા. તેમની સાથે ત્રણ નાના બાળકો પણ હતા.

પુછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ તમામ મૂળ બાંગ્લાદેશના ખુલના જિલ્લાના વતની છે.

પુછપરછમાં વિગતો સામે આવી છે કે, તેઓ બાંગ્લાદેશની સતખીરા સરહદ પરથી ચોરીછૂપીથી ચાલીને ભારતના બાસીરહાટમાં પ્રવેશ્યા હતા. ત્યાંથી ટેક્સી દ્વારા કોલકાતા અને ત્યારબાદ ટ્રેન મારફતે અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશને પહોંચ્યા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક