• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

‘ગુજરાત માત્ર દેશને જ નહીં, સમગ્ર વિશ્વને દિશા આપી રહ્યું છે’

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પ્રથમવાર ગુજરાત પ્રવાસે, ભાજપના ધારાસભ્યો અને સાંસદો સાથે કરશે બેઠક

            ભાજપમાં બૂથ લેવલનો કાર્યકર્તા પણ રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, તા.20: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન તેઓના ત્રણ દિવસના પ્રથમ ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે અમદાવાદના ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપ આગેવાનો અને અગ્રણીઓએ તેઓને ગુજરાતની ધરતી પર આવકાર્યા હતાં. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનું ભવ્ય સ્વાગત થતા તેમણે ગુજરાતની ધરતી પર આવવાનું સૌભાગ્ય ગણાવતા કહ્યું કે ગુજરાત અનેક મહાપુરુષોને જન્મ આપ્યો છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભાઈ પટેલ જેવા મહાપુરુષો જન્મ્યા છે. આ વિરાસતને વધારવાનો શ્રેય વડાપ્રધાન મોદીને જાય છે. ગુજરાતે લાંબા  સમયથી ભાજપાની સરકાર હેઠળ વિકાસનો સકારાત્મક અનુભવ કર્યો છે. આજે ગુજરાત માત્ર દેશને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને દિશા આપી રહ્યું છે.

વધુમાં જણાવ્યું કે ગુજરાતને આંદોલનની જનની તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ અહીં આંદોલન ફક્ત પરિવર્તન માટે જ નહીં, વિકાસ માટે અને નવી ઊર્જાના સંચાર માટે પણ થાય છે. ગુજરાતની જનતા ફક્ત રાજ્ય માટે સરકાર પસંદ કરતી નથી, પરંતુ એવા નેતૃત્વને પસંદ કરે છે જેના બળ પર આજે આખો દેશ આગળ વધી રહ્યો છે. ભાજપાના કાર્યકર્તાઓ ફુલ ટાઇમ પોલિટિશિયન છે, જે સતત જનતા વચ્ચે રહીને કાર્ય કરે છે. ચૂંટણી સમયે કેટલાક પાર્ટ-ટાઇમ રાજકારણીઓ જનતા વચ્ચે આવે છે, પરંતુ આપણે જનતા સાથે એવો સજીવ અને મજબૂત સંબંધ સ્થાપિત કરવો જોઈએ કે આવા પાર્ટ-ટાઇમ રાજકારણીઓ માટે કોઈ જગ્યા ન રહે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, નીતિન નબીન એવા અધ્યક્ષ છે, જેની પાસે સરકાર અને સંગઠન બંનેનો અનુભવ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેમનું નામ જાહેર થયું ત્યારે ઘણા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, પરંતુ વિશ્વની સૌથી મોટી લોકતાંત્રીક પાર્ટીની આ જ વિશેષતા અને તાસીર છે કે અહીં બુથ લેવલનો કાર્યકર્તા પણ પોતાના સમર્પણ, કાબેલિયત અને ક્ષમતાના આધારે રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી પહોંચવાનો અવકાશ ધરાવે છે.

જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે નીતિન નબીને રાજનીતિને સત્તાનું સાધન નહીં પણ સંસ્કાર અને સંકલ્પની યાત્રા માની છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ આગામી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે. જેના પગેલ આજે શહેરના અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. તેઓ ભાજપના પદાધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે સંવાદ કરશે. જેમાં રાજ્યની પ્રવૃત્તિઓ અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક