• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

ઉનાળુ વાવેતર ચિક્કાર : તલ અને કઠોળ સહિતના પાકનું ઉત્પાદન વધશે

મગફળીમાં પણ ઉત્પાદન વધવાની આશા: મહિનામાં નવી આવક થશે

રાજકોટ, તા.16 (ફૂલછાબ ન્યૂઝ): ઉનાળુ વાવેતરની કામગીરી ગુજરાતમાં પૂર્ણતાને આરે છે. વાવેતર પાછલા વર્ષની સરખામણીમાં 6 ટકા અને સરેરાશ કરતા 9 ટકાનો વધારો નોંધાવી શક્યું છે. સૌથી વધારે વાવેતર ઉત્તર ગુજરાતમાં 4.82 લાખ હેક્ટરમાં થયું છે. ત્યાર બાદ સૌરાષ્ટ્ર વિસ્તારમાં 3.90 લાખ હેક્ટર અને મધ્ય ગુજરાતમાં 2.83 લાખ હેક્ટરમાં વાવણી થઇ છે. દક્ષિણ ગુજરાતમાં ફક્ત 93 હજાર હેક્ટરમાં વાવણી થઇ છે.મગફળીના ભાવમાં આવેલી તેજી અને હજુ સરકારી મગફળી ઉંચા ભાવમાં વેચાઇ રહી હોય ખેડૂતોએ સારો ભાવ પ્રાપ્ત થવાની આશાએ ઉનાળુ વાવણી 21 ટકા વધારે કરી છે. ગુજરાતમાં કુલ 68,120 હેક્ટરમાં મગફળીનો પાક લીધો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે 31,200 હેક્ટરમાં વાવણી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર પંથકમાં 10,300 હેક્ટરમાં વાવણી છે.

ઉનાળુ તલના વાવેતરમાં સૌરાષ્ટ્ર મોખરે છે. કુલ વાવેતર 11 ટકા વધારે 1.35 લાખ હેક્ટરમાં રહ્યું છે. સૌરાષ્ટ્રમાં 1.21 લાખ હેક્ટરમાં વાવણી થઇ છે. ઉંચો વિસ્તાર જૂનાગઢ પંથકમાં 25 હજાર હેક્ટર રહ્યો છે. એ પછી મોરબી જિલ્લામાં 21700 હેક્ટરમાં વાવણી થઇ છે. બાજરીનો વાવેતર વિસ્તાર 3.37 લાખ હેક્ટર રહ્યો છે. જે ગયા વર્ષ કરતા 7 ટકા જેટલો વધારે છે.ઉત્તર ગુજરાતમાં 1.33 લાખ હેક્ટરમાં વાવેતર છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 34,600 હેક્ટર અને મધ્ય ગુજરાતમાં 69,100 હેક્ટરમાં વાવણી થઇ છે. સૌરાષ્ટ્રમાં 34 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે.

ડાંગરનું વાવેતર 1.28 લાખ હેક્ટરમાં ગયા વર્ષે હતુ તે વધીને 1.33 લાખ હેક્ટમરમાં અત્યાર સુધીમાં થયું છે.

કઠોળના વાવેતર અત્યાર સુધીમાં 95 હજાર હેક્ટરમાં થઇ ગયા છે. પાછલા વર્ષમાં 89 હજાર હેક્ટરમાં હતુ. મગનો વિસ્તાર 6-7 હજાર હેક્ટર વધીને 64,492 હેક્ટર અને અડદનો વિસ્તાર 30,566 હેક્ટર રહ્યો છે. ડુંગળીનું વાવેતર 12,230 હેક્ટરમાં રહ્યું છે,જે નબળું છે. જોકે શેરડીનો વિસ્તાર વધઈને 14,139 હેક્ટર રહ્યો છે. અગાઉ કરતા તેમાં 25 ટકા જેટલો વધારો થયો છે.

ઉનાળુ પાકને પિયત માટે પાણીની હાલકોઇ જ સમસ્યા નથી. ચોમાસું નબળું ઠરવાની આગાહી વચ્ચે આઠ દસ દિવસ વહેલું બેસી જશે તેવી આગાહી થઇ છે ત્યારે પાક સાંગોપાંગ રહે તો દરેક ઉનાળુ પાકના ઉત્પાદનમાં વધારો થવાની સંભાવના છે.

ઇ-પેપરના નવા શુલ્ક