• શનિવાર, 27 જુલાઈ, 2024

વાડલા ગીર ગામે મહિલા ઉપર હિંસક જાનવરે હુમલો કરતા મૃત્યુ

ગામના પાદરમાં બનેલા બનાવથી ગ્રામજનો ભયભીત, જંગલી જાનવર દીપડો કે સિંહ ? વન વિભાગે તપાસ હાથ ધરી

તાલાલા, તા.20 : તાલાલા તાલુકાનાં જંગલમાં આવેલા વાડલા ગીર ગામે દલિત વિસ્તાર પાછળ જાજરૂ ગયેલી મહિલા ઉપર જંગલી જાનવરે હુમલો કરી ગંભીર ઈજા કરી હતી. આ મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતુ.

વાડલા ગીર ગામની નજીક મોડી સાંજે બનેલા આ બનાવ અંગે ગામ લોકોએ જણાવ્યું હતુ કે, ગામના દલિત વિસ્તારમાં રહેતા રમીલાબેન જયેશભાઈ જોગદીયા (ઉ.વ.30) મોડી સાંજે શૌચક્રિયા માટે ગયા હતા. આ દરમિયાન જંગલમાંથી આવી ચડેલા હિંસક જાનવરે મહિલા ઉપર ત્રાટકી દુર સુધી ધસડીને લઈ જઈ ગંભીર ઈજા પહોચાડી હતી. મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ બનાવની જાણ થતાં ગામમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા. આ અંગે જંગલખાતાને જાણ કરતા આંકોલવાડી રેન્જનો સ્ટાફ બનાવનાં સ્થળે પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. ગામના પાદરમાં બનેલા આ બનાવથી ગામ લોકો ભયભીત થઈ ગયા છે. બીજી તરફ વાડલા ગીર ગામ નજીક મહિલા ઉપર હુમલો કરનાર જંગલી જાનવર દિપડો છે કે સિંહ ? આ અંગે અવનવા અનુમાનો થઈ રહ્યાં છે. સત્ય બહાર લાવવા વન વિભાગના સ્ટાફે બનાવના સ્થળની ઝીણવટભરી તપાસ કરી શરૂ કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક