જૂની અદાવતનું પરિણામ : આરટીઓ ચાર રસ્તા પાસે જાહેરમાં હુમલો કરી પેટમાંથી આંતરડું બહાર કાઢી નાખ્યું
અમારા પ્રતિનિધિ તરફથી,
અમદાવાદ,તા.16:અમદાવાદમાં સ્વતંત્રતા
પર્વ 15 ઓગસ્ટની મોડી રાત્રે રાણીપ પોલીસ ચોકીથી તદ્દન નજીક આવેલ આરટીઓ ચાર રસ્તા પાસે
અગાઉના એક વિવાદમાં મદ્રાસી સમાજનો પક્ષ લેવાની અદાવત રાખીને 8 થી 10 શખસો દ્વારા
37 વર્ષીય અજય સાલ્વી નામના યુવક પર ઘાતકી હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં
યુવકની પીઠના ભાગે 15 થી વધુ ઊંડા ઘા ઝીંકી દેવાતા તેના પેટમાંથી આંતરડું પણ બહાર આવી
ગયું હતું અને ગંભીર રીતે ઘવાયેલા યુવકને હોસ્પિટલ ખસેડાતા ટૂંકી સારવાર દરમિયાન તેનું
કરૂણ મોત નીપજ્યું હતું.
આ સનસનાટીભર્યા હત્યા કેસ અંગે
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અગાઉ મદ્રાસી સમાજના લોકો અને મુખ્ય આરોપી વિશાલ ચૌહાણ
વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં મૃતકે આરોપીનો વિરોધ કર્યો હોવાથી અદાવત રાખીને આ હત્યા
કરવામાં આવી છે, જેથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આસપાસના સીસીટીવી
ફૂટેજ અને પરિવારજનોના નિવેદનના આધારે ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી વિશાલ ચૌહાણ તથા તેના
સાગરીતોની ધરપકડ કરવા માટે સઘન ચક્રો ગતિમાન કર્યા છે.