ભૂસ્ખલન અને પૂરે મચાવી તબાહી : તણાયેલા બે જવાનને બચાવી લેવામાં આવ્યા
નવીદિલ્હી,તા.16:
અરુણાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદે સર્જેલી હોનારતોમાં ભારે તબાહી મચી ગઈ છે. રાજ્યનાં
બે જિલ્લામાં ભૂસ્ખલન અને અચાનક પૂરનાં કારણે ચાર લોકોનાં મૃત્યુ નીપજ્યા હતાં અને
ભારતીય સેનાનાં પાંચ જવાન પણ લાપતા બન્યા છે.
રાજ્યનાં
ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે આ બન્ને દુર્ઘટનાઓ સુબનસિરી અને
દિબાંગ ઘાટી જિલ્લામાં સર્જાઈ હતી જેમાં સુબનસિરી જિલ્લાનાં કેઓજારિંગ-બયાચિંગ રોડ
કટિંગ સાઈટ ઉપર ભારે વિનાશક ભૂસ્ખલનની ચપેટમાં આવી જતાં અનેક મજૂરો કાદવમાં દબાઈ ગયા
હતાં, જેમાંથી 4નાં મૃત્યુની પુષ્ટિ થઈ છે.
જ્યારે
દિબાંગ ઘાટી જિલ્લામાં પાસુ પાની સૈન્ય છાવણી ઓચિંતા પૂરની ચપેટમાં આવી ગઈ હતી. જેમાં
બે શેલ્ટર તણાઈ ગયા હતાં. પાણીનાં અણધાર્યા પ્રવાહે 7 સૈન્યકર્મીઓને ખેંચી લીધા હતાં.
તેમાંથી બેને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતાં પણ હજીય પાંચ જવાન લાપતા છે.