સિવિલ સર્વિસીસ દિને મોદીએ અધિકારીઓને વિકસિત ભારતનો પ્લાન સમજાવ્યો
નવી
દિલ્હી, તા.21 : છેલ્લાં દસ વર્ષમાં ભારતે પ્રભાવશાળી પરિવર્તન જોયું છે. આજના ભારતનું
સુશાસન મૉડેલ આગામી પેઢીઓ સુધીના ટકાઉ સુધારા પર ધ્યાન આપી રહ્યું છે, એમ વડા પ્રધાન
નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું.
નવી
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 17મા નાગરિક સેવા દિવસ (સિવિલ સર્વિસીસ ડે) સમારોહને સંબોધતા
મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર નવી ટેક્નૉલૉજી, સંશોધન અને અભ્યાસના માધ્યમથી સરકાર
અને જનતા વચ્ચેની દૂરી સમાપ્ત કરવા પ્રયાસરત છે. આનો પ્રભાવ ગ્રામીણ અને શહેરી વિસ્તારોની
સાથે સુદૂર ક્ષેત્રોમાં પણ જોવા મળી રહ્યો છે. ભારત આજે શાસન, પારદર્શિતા અને નવોન્મેષના
નવા માનકો સ્થાપિત કરી રહ્યું છે. દેશના સનદી અધિકારીઓને સંબોધતા મોદીએ કહ્યું હતું
કે ટેક્નૉલૉજીના યુગમાં શાસનનો અર્થ માત્ર સિસ્ટમનું પ્રબંધન કરવું નથી પરંતુ સંભાવનાઓને
વ્યાપક કરવાનો છે.
સનદી
અધિકારીઓને નાગરિક દેવો ભવ:નો મંત્ર આપતા વડા પ્રધાને કહ્યું હતું કે છેલ્લા દાયકાથી
ભારત વ્યાપક બદલાવ અને પરિવર્તનનો અનુભવ કરી રહ્યું છે. આ પરિવર્તનના સમયમાં અધિકારી
વર્ગે પોતાના કામકાજ અને ફરજમાં પણ બદલાવ કરવો પડશે. આપણે એક વાત હંમેશા યાદ રાખવી
જોઇએ કે દુનિયામાં ગમે એટલી ટેકનૉલૉજી વિકસે પરંતુ માનવની બુદ્ધિમત્તાને ઓછી આંકી ન
શકાય. અધિકારીઓ ગરીબોનો અવાજ સાંભળે અને એના દુ:ખ, દર્દોનો અનુભવ કરે, એમની સમસ્યાઓ
દૂર કરવી એ આપણી પ્રાથમિકતા છે. જેમ અતિથિ દેવો ભવ છે એમ આપણો સુશાસનનો મંત્ર નાગરિક
દેવો ભવ હોવો જોઇએ.